ગુજરાતના ખેડૂતો માટે એક સારા અને એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ અંગે VTV સાથે ખાસ વાતચીતમાં મહત્વનું નિવેદન આપ્યું છે.
રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટે મળશે સહાય
ટુંક સમયમાં સહાય પેકેજ-2ની જાહેરાત થશે: કૃષિમંત્રી
માવઠામાં ખેડૂતોને નુકસાન ન થયુ હોવાથી સહાય આપવાનું થતું નથી: કૃષિમંત્રી
રાજ્યમાં અતિવૃષ્ટિ સહાય બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિર્ણય લેશે. અતિવૃષ્ટિમાં નુકસાન થયેલા 4 જિલ્લામાં સહાયની ચુકવણી કરાઇ છે. જો કે અન્ય 17 જિલ્લામાં પાક નુકસાની ચુકવાઈ નથી. જેને લઇને ગઇકાલે(24 નવેમ્બર) કૃષિ વિભાગે 17 જિલ્લાનો પાક નુકસાની રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપ્યો હતો. ખેડૂતોને ઝડપી સહાય મળે તેવી કૃષિમંત્રીએ રજૂઆત કરી હતી. ત્યારે હવે આજે(25 નવેમ્બર) કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.
ટુંક સમયમાં સહાય પેકેજ-2ની જાહેરાત થશે: કૃષિમંત્રી
અતિવૃષ્ટિ માટે ખેડૂતોને સહાય મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે, અતિવૃષ્ટિમાં પાક નુકસાન બાકીના જિલ્લામાં ટુંક સમયમાં સહાય ચૂકવાશે. અન્ય 17 જિલ્લામાં 7 દિવસમાં સહાય પેકેજ જાહેર કરાશે. મુખ્યમંત્રી ટુંક સમયમાં સહાય પેકેજ-2ની જાહેરાત કરશે. 4 જિલ્લામાં સહાય ચુકવણી કામગીરી ચાલી રહી છે.
માવઠામાં ખેડૂતોને નુકસાન ન થયુ હોવાથી સહાય આપવાનું થતું નથી: કૃષિમંત્રી
કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન અંગે ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. કમોસમી વરસાદથી નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, માવઠામાં 10 જિલ્લાના 55 તાલુકામાં 1 ઇંચ વરસાદ થયો છે. કૃષિ સર્વે અહેવાલમાં પાકને નુકસાન થયું નથી. માવઠામાં ખેડૂતોને નુકસાન થયું નથી. માવઠામાં નુક્સાનીની માંગણી ખેડૂતોએ કરી નથી. સુઓમોટો કરીને માવઠાનો સર્વે કર્યો હતો. માવઠામાં ખેડૂતોને નુકસાન ન થયુ હોવાથી સહાય આપવાનું થતું નથી.
કમોસમી વરસાદથી થયેલા નુકસાનના પુરાવા
રાજ્યના કૃષિ મંત્રી કહી રહ્યા છે કે ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન નથી થયું. પરંતુ આ રહ્યા પુરાવા, જ્યાં ખેડૂતોની માઠી બેઠી છે. સરકાર દ્વારા કમોસમી વરસાદમાં થયેલા નુકસાનની સહાય આપવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે.
પાટણ જિલ્લામાં કમોસમી વરસાદથી 7થી 8 ટકા જેટલું નુકસાન
પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સરસ્વતી તાલુકામાં આ કમોસમી વરસાદથી જુવાર, ઘાસચારો, જીરુ, રાઈ જેવા પાકોની ગુણવત્તા ઉપર અસર જોવા મળી છે. આ કમોસમી માવઠાથી ઉત્પાદન ઉપર કોઇ અસર થઇ નથી. પરંતુ ગુણવત્તા ઉપર અસર થઇ છે. આ કમોસમી વરસાદથી 7 થી 8 ટકા જેટલું નુકસાન થયુ છે.
કમોસમી વરસાદના કારણે નવસારીમાં ચીકુના પાકને નુકસાન
કમોસમી વરસાદના કારણે નવસારીમાં ચીકુના પાકને નુકસાન થયું છે. અમલસાડી ચીકુમાં કમોસમી વરસાદની અસર થઇ છે. ત્રણ દિવસથી ભેજવાળા વાતાવરણના કારણે ચીકુના પાકને નુકસાન થયું છે. અમલસાડી ચીકુ ગુણવત્તા માટે જાણીતા છે. અને આ મહિનામાં ચીકુની આવક સારા પ્રમાણ થઇ હતી. ખેડૂતોને ચીકુના 800થી 1200 રૂપિયા ભાવ પણ મળ્યા હતા. ત્યારે કમોસમી વરસાદના કારણે ચીકુના ભાવને અસર થશે.
મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી મગફળી, કપાસ, એરંડા, અડદ સહિતના પાકોમાં નુકસાન
મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે. માળિયા, ટંકારા, હળવદ અને વાંકાનેરમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. માળિયાના બોડકી, ઝીંઝુડા, સરવડ, ભાવપર, તરઘરી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. ત્યારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર આપવા ખેડૂતોએ માંગણી કરી છે. આ અંગે અગાઉ મંત્રી બ્રિજેશ મેરજાએ ખેડૂતોના નુકસાનનો સર્વે કરવા આદેશ કર્યો હતો.
દ્વારકામાં કમોસમી વરસાદથી પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી ગયો
દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની. અંદાજે અડધાથી એક ઈંચ વરસાદને કારણે કપાસ પકવતા ખેડૂતો ઉપર માઠી બેઠી. ખેડૂતોનો કપાસનો પાક પલળી ગયો હતો. બીજી તરફ પશુઓ માટે રાખેલા ઘાસચારો પણ પલળી ગયો હતો. તો સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે.