શેર માર્કેટમાં મોટું નામ ધરાવતા અબજોપતિ રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે 62 વર્ષની વયે નિધન થયું છે, તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રાકેશ ઝુનઝુનવાલાએ શેરમાર્કેટમાં માત્ર 5 હજારથી શરૂ 40 હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. 1985માં મુંબઈની દલાલ સ્ટ્રીટમાં પ્રવેશેલા રાકેશ ઝુનઝુનવાલા પિતા પાસેથી પ્રેરણા લઈને આ બિઝનેસમાં આવ્યા હતા. પરંતુ જ્યારે તેમણે શેરબજારમાં પૈસા રોકવાનું મન બનાવ્યું ત્યારે તેમના પિતાએ પૈસા આપવાની ના પાડી દીધી અને એમ પણ કહ્યું કે, આ માટે તેણે તેના કોઈ મિત્ર પાસેથી પૈસા લેવાનો પ્રયાસ પણ ન કરવો જોઈએ. તેના પિતાએ ઝુનઝુનવાલાને કહ્યું કે, જો તમારે શેરબજારમાં પ્રવેશ કરવો હોય તો તેના માટે પોતાની મહેનતથી પૈસા કમાવો.
વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાકેશ ઝુનઝુનવાલાએ 1985માં પાંચ હજાર રૂપિયાનું રોકાણ કરીને રોકાણકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. એક સમયે તેમણે 43 રૂપિયાના દરે ટાટા ગ્રુપની કંપની ટાટા ટીના પાંચ હજાર શેર ખરીદ્યા હતા. ત્રણ મહિનામાં ટાટા ટીનો સ્ટોક ઘણો વધી ગયો. પછી ઝુનઝુનવાલાએ આ શેર 143 રૂપિયામાં વેચ્યો. 1986માં આ નિર્ણયથી ઝુનઝુનવાલાને ત્રણ મહિનામાં 2.15 લાખ રૂપિયાના રોકાણ પર 5 લાખ રૂપિયાનો નફો થયો હતો.
શેરબજારના બિગ બુલ બન્યા રાકેશ ઝુનઝુનવાલા
આ પછીના ત્રણ વર્ષમાં રાકેશ ઝુનઝુનવાલા શેરમાં પૈસા રોકીને કરોડપતિઓની યાદીમાં આવી ગયા. આ ત્રણ વર્ષમાં તેમણે લગભગ કરોડોનો નફો કર્યો હતો. આ પછી તેમણે ટાટા ગ્રુપની અન્ય કંપનીના શેરમાં સટ્ટો રમ્યો અને તેમણે રાકેશ ઝુનઝુનવાલાને બિગ બુલ બનાવ્યો. તેમણે વર્ષ 2003માં ટાટા ગ્રૂપની કંપની ટાઇટનમાં પૈસા રોક્યા હતા. તે સમયે તેમણે ત્રણ રૂપિયાના દરે ટાઇટનના છ કરોડ શેર ખરીદ્યા હતા. એક સમયે ઝુનઝુનવાલાની પાસે ટાઇટનના લગભગ 4.5 કરોડ શેર હતા, જેની કિંમત રૂ. 7000 કરોડથી વધુ હતી. નોંધનીય છે કે, રાકેશ ઝુનઝુનવાલાએ તાજેતરમાં લગભગ 50 મિલિયન ડોલરના જંગી રોકાણ સાથે અકાસા નામની પોતાની એરલાઇન શરૂ કરી છે.