લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ મુખ્ય પક્ષો સહિત તમામ પક્ષો સક્રીય થઈ ગયા છે. કોઈપક્ષ ટિકિટ યોગ્ય ઉમેદવારો માટે સામાન્ય કાર્યકરો પાસેથી સેન્સ લઈ રહ્યો છે તો કોઈ પક્ષ પોતાના નેતાઓને પાર્ટીમાં જાળવી રાખવા મનામણા કરી રહ્યો છે. તો કેટલાક પક્ષો પોતાના કાર્યકરોને ખરીદ ફરોખ્તથી બચાવવા માટે સમજાવટ કરી રહ્યા છે. આ બધી બાબતો વચ્ચે પાર્ટી હાઈકમાન્ડ પર ટિકિટ આપવા લાયક ઉમેદવારોની પસંદગી કરવાની કવાયતનો બોજ ઊભો થયો છે. જોઈએ આ અહેવાલ.
અલ્પેશે છોડયું પાટણનું રટણ
જેમ જેમ લોકસભા ચૂંટણીની તારીખો નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય વર્તુળોમાં સક્રિયતા વધી રહી છે. તારીખોની જાહેરાતો પહેલા અને પછી કોંગ્રેસમાંથી ભાજપ તરફ ધારાસભ્યોનું જે રીતે ગમન થયું તે જોતાં કોંગ્રેસ હવે કાર્યકરોને પાર્ટીમાં ટકાવી રાખવા મહામહેનત કરી રહ્યું છે. કોંગ્રેસને હવે કાર્યકરોથી માંડીને નેતાઓની નારાજગી પાલવે તેમ નથી. એક તરફ જે તે બેઠક માટે યોગ્ય ઉમેદવાર પસંદગી કરવાની હાઈકમાન્ડ કવાયત કરી રહ્યો છે, પરંતુ ટિકિટ વહેંચણીની આ મોસમમાં ગુજરાત કોંગ્રેસ પાટણ અને અમરેલીના ઉમેદવારને લઈને વિમાસણમાં મુકાઈ છે. એક સમયે પાટણની બેઠક પરથી લોકસભાની ટિકિટ માટે માગણી કરનારા અલ્પેશ ઠાકોર હવે ડાહ્યાડમરા બની ગયા છે. રાહુલ ગાંધીની સમજાવટ બાદ અલ્પેશ ઠાકોરે હવે પાટણનું રટણ છોડી દીધું છે અને અલ્પેશ ઠાકોર દુબઈ ફરવા પણ જતા રહ્યા છે..
એકને નકાર, બીજાનો ઈનકાર
કોંગ્રેસે પાટણ બેઠક માટે મજબૂત ઉમેદવાર શોધવા કવાયત પણ હાથ ધરી જોઈ હતી, પરંતુ કોંગ્રેસને પાટણ લોકસભા બેઠક માટે જગદીશ ઠાકોર સિવાય કોઈ ઉમેદવાર શોધ્યા જડતા નથી. બસ આ વાતમાં જ કોંગ્રેસ ફસાઈ ગઈ છે. કેમ કે, એક સમયે અલ્પેશ ઠાકોરને પાટણની ટિકિટ આપવા રાજી થઈને કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોરને નારાજ કર્યા હતા, પરંતુ વિધિની વક્ર્તા જુઓ હવે ખુદ કોંગ્રસ હાઈકમાન્ડને અલ્પેશ ઠાકોર લોકસભા ઉમેદવાર કરતાં પ્રચારકાર્યકર તરીકે વધારે યોગ્ય લાગી રહ્યા છે અને જગદીશ ઠાકોરની સમક્ષ પાટણ માટે કોઈ ઉમેદવાર મળતો નથી. આથી ફરીવાર પાછી કોંગ્રેસ જગદીશ ઠાકોરને ટિકિટ આપવા ઈચ્છા દર્શાવી રહી છે, પરંતુ તેના કારણે જગદીશ ઠાકોરને પોતાનુ સ્વમાન હણાયું હોય તેવું લાગી રહ્યું છે. જગદીશ ઠાકોર ખુદ લોકસભા ચૂંટણી લડવા ઈનકાર કરી રહ્યા છે.
અમરેલીમાં છે ત્રણ દાવેદારો મેદાનમાં
તો આ તરફ કોંગ્રેસ માટે અમરેલી બેઠકનું કોકડું પણ ગુંચવાયું છે. અમરેલી બેઠક પર કોંગ્રેસમાંથી ત્રણ દાવેદારો મેદાનમાં છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતની ઈચ્છા અમરેલીથી લડવાની છે, તો કનુ કલસરિયા પણ અમરેલી બેઠક પર દાવો રજૂ કરી રહ્યા છે. જ્યારે વિરજી ઠુમ્મર પણ તેમના દીકરી જેની ઠુમ્મર માટે મહેનત કરી રહ્યા છે. આ ત્રણેય દાવેદાર મજબૂત હોવાના કારણે કોંગ્રેસ એકબીજાને મનાવવાના પ્રયાસમાં છે. તો પોરબંદર બેઠક પર લલીત વસોયાના નામની પણ સત્તાવાર જાહેરાત બાકી છે. લલીત વસોયા ધોરાજીના ધારાસભ્ય છે અને પોરબંદર લોકસભામાં સમાવિષ્ટ છે. લલિત વસોયાના પોરબંદર લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમો પણ નક્કી થઈ ગયા છે અને મતદારોનો સંપર્ક પણ શરૂ કરી દીધો છે.
હાર્દિક સામે અલ્પેશને પોતાનું કદ ઘટવાની ચિંતા
કોંગ્રેસમાં પહેલાથી જ એટલી ગૂંચવાડો છે તેમા હવે કોંગ્રેસની CWC બેઠક દરમિયાન હાર્દિકે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે, પરંતુ કોંગ્રેસમાં એવી ચર્ચા છે કે, હાર્દિક પટેલને પ્રવેશ સાથે સીધી જ લોકસભાની ચૂંટણી લડાવવાથી અલ્પેશ ઠાકોરને પોતાનું કદ ઘટવાની ચિંતા છે અને તેની આ નારાજી પાર્ટીને નુકસાન કરાવી શકે છે. જો કે એ વાત પણ સાચી છે કે, ભૂતકાળમાં અલ્પેશ ઠાકોરના ભડકાઉ ભાષણથી એક લાખથી વધુ પરપ્રાંતીયોએ સ્થળાંતરણ કરવું પડ્યું હતું. જેની કોંગ્રેસ પર વિપરિત અસર પડી હતી અને ભાજપને કોંગ્રસ પર પ્રહાર માટેનો મોકો મળી ગયો હતો. જેથી કોંગ્રેસ હાઈકમાન્ડ અલ્પેશથી ખૂબ જ નારાજ હતી. ઉપરાંત અલ્પેશ ઠાકોર બિહારના સહપ્રભારી છે, પરંતુ પરપ્રાંતીયો પરના હુમલા બાદ બિહારમાં કોંગ્રેસ વતી કામગીરી કરવામાં પણ અસફળ રહ્યા છે. એવામાં જો હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણીમાં વિજયી થાય તો પોતાના કરતા હાર્દિકનું કદ મોટો થશે તેવી અલ્પેશ ઠાકોરને ચિંતા સતાવી રહી છે. આ બન્નેની ચિંતા આખરે કોંગ્રેસને વત્તે ઓછે નુકસાન ન કરવો તેવી કોંગ્રેસને પણ ચિંતા સતાવી રહી છે. ત્યારે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ માટે બધું સમૂસૂતરુ પાર પડે છે કે કેમ?