ઘણા લોકો ભર જવાનીમાં હિંમત ખોઇ બેસતા હોય છે અને પરિસ્થિતિથી હારી જતા હોય છે. હારી જવાના ડરથી તેઓ કંઇ કરતા નથી અને હારી ગયા પછી તે પોતાના જીવનને દાવ પર લગાવી દેતા હોય છે. તેમના માટે 94 વર્ષના આ માજી પ્રેરણારૂપ છે. જેમણે 90 વર્ષની ઉંમરે વ્યવસાય કરવાનું વિચાર્યુ અને મહેનતથી તે આજે સફળતાની ટોચ પર પહોંચી ગયા છે.
વાત 94 વર્ષના એક દાદીની
90 વર્ષે શરૂ કર્યો ધંધો
આજે છે કરોડોના માલિક
વાત છે અમૃતસર નજીક જન્મેલા હરભજન કૌરની, કે જેઓના પતિનું 10 વર્ષ પહેલા અવસાન થયુ હતુ. બાદમાં ચંદીગઢમાં તેમની પુત્રી સાથે રહેતા હતા. એકવાર તેમની દીકરીએ તેમને પૂછયુ કે તમારી કોઇ ઇચ્છા તો બાકી નથી રહી જતીને, ક્યાંય જવું આવવું હોય કે કંઇ બીજુ હોય તો જણાવી દો. હરભજન કૌરે કહ્યું કે તેમની માત્ર એક જ ઇચ્છા છે, આટલી ઉંમર થઇ છતાં તેમણે એક પણ પૈસો જાતે નથી કમાયો, ત્યારે તેમની દીકરીને નવાઇ લાગી પરંતુ તેણે કહ્યું કે તમે કેવી રીતે પેસા કમાવા માંગો છો.
હરભજને જવાબ આપ્યો કે, તે બેસનની બરફી બનાવી શકે છે અને તેમની આ બરફીને ખરૂદનારુ કોઇ તો મળી જ જશે. ત્યારે તેમની દીકરીની આંખો આંસુથી ભરાઇ આવી હતી. તેમની દીકરીએ ચંદીગઢના બજારમાંથી 5 કિલો બરફીનો ઓર્ડર લઇ લીધો હતો અને હાથોહોથ બરફી વેચાઇ ગઇ હતી. પહેલી કમાણી હાથમાં લીધી ત્યારે હરભજને કહ્યું કે, પોતે કમાયેલા રૂપિયાની વાત જ કંઇક અલગ હોય છે. તેમણે ત્રણેય દીકરીઓમાં સરખા ભાગે તે રૂપિયા વહેંચી દીધા.
ઘરના સભ્યોએ વિચાર્યુ કે હવે માતાની ઇચ્છા સંતોષાઇ ગઇ હશે પરંતુ હરભજનની ઇચ્છા વધી અને બરફી સિવાય ટામેટાની ચટણી, દુધીનો આઇસ્ક્રિમ, દાળનો હલવો વગેરે મેનુમાં ઉમેરાતી ગઇ. પરિવાર, આસપાસના લોકો, પાડોશીઓ પણ હરભજનની વાનગીઓના દીવાના થઇ ગયા. તેમને એક બાદ એક ઓર્ડર મળવા લાગ્યા હતા.
હરભજને આ પ્રકારની બરફી બનાવતા તેમના પિતા પાસેથી શીખ્યુ હતું. 100 વર્ષ પહેલાની બરફીનો સ્વાદ આજે પણ હયાત છે અને થોડા સમય પહેલા આનંદ મહિન્દ્રાએ આ માજીના સાહસના વખાણ કર્યા હતા. ત્યારથી હરભજન કૌર ફેમસ થઇ ગયા અને 94 વર્ષે સેલિબ્રિટી બની ગયા હતા.