ગાંધીધામઃ રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહાંઈ કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં ગાંધીધામ રેલ્વે સ્ટેશને લીલી ઝંડી ફરકાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે રેલવે રાજ્યમંત્રી ગોહાંઈએ ગાંધીધામ રેલ્વે મથકના વિકાસ સહિતના મુદ્દે વિવિધ આયોજન હોવાનું જણાવ્યું હતું.
તેમણે કંડલાથી રેલ્વેની વિશેષ ટ્રેન સેવા કોન્કોર શરૂ કરવા વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસની સાથે હમસફર એક્સપ્રેસ પણ ભારતના સૌથી સુંદર ટ્રેન માર્ગ પૈકીના એક કોંકણ રેલવે અને માલાબાર કાંઠા થઈને દોડશે.
મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળમાંથી પસાર થઈ આ ટ્રેન તામિલનાડુ પહોંચશે. એકબાજુ અરબ સાગર અને બીજી બાજુ પશ્ચિમઘાટ વચ્ચે થતી મુસાફરી કારણે આ રૂટ પર મુસાફરી એક વિશેષ જ અનુભવ હોય છે.
આ સાથે જ ટ્રેનને અત્યાધુનિક સુવિધાથી સજ્જ કરવામા આવી છે. રેલયાત્રી માટે નવી હમસફર એક્ષપ્રેસની મુસાફરી યાદગાર બની રહે તે દિશામાં રેલવે મંત્રાલય પૂરતા પ્રયત્નો કર્યા છે. આ ટ્રેનમાં થ્રી ટાયર એસી કોચ અને પેન્ટ્રીકારની સુવિધા હશે.
આ ટ્રેનને અમદાવાદ વડોદરા સુરત વસઇ રોડ પનવેલ સહિતના સ્ટેશનોને સ્ટોપ આપવામાં આવ્યા છે.