બ્રિટિશ સમયમાં અંગ્રેજોએ શરૂ થયેલી અમદાવાદની એક માત્ર લો લાઈબ્રેરીનાં હજારો દુર્લભ પુસ્તકો જેમ તેમ ગોઠવી દેતાં વધુ એક વખત વિવાદ સર્જાયો છે. લો લાઈબ્રેરીનું રિનોવેશન થવાને કારણે છેલ્લા એક વર્ષથી તે બંધ હાલતમાં હતી. એક લાખ રૂપિયાના ખર્ચી જેલ કમ્પાઉન્ડમાં પડેલાં બે લાખ પુસ્તકોને લાઈબ્રેરીમાં લાવીને રેક પર ગોઠવી દેવામાં આવ્યા છે પરંતુ કયું પુસ્તક ક્યાં છે તેની જાણ વકીલોને પણ નથી.
લાઇબ્રેરીમાં એસી અને ખુરશીના કલરનો પણ વિવાદ સર્જાયો
કમ્પ્યૂટર ધૂળ ખાય છે, લાઇબ્રેરિયન પણ નથી
મેમ્બર્સનાં બુકકાર્ડ પણ અપડેટ થયાં નથી
દેશમાં અગ્રેજોનું શાસન હતું ત્યારે તેમને ૧૮૬૯માં અમદાવાદના ભદ્ર ખાતે અને જૂનાગઢમાં લો લાઈબ્રેરીની શરૂઆત કરી હતી. ૧૮૬૦માં આઇપીસીનો કાયદો અસ્તિત્વમાં આવ્યો અને ૧૮૭૨માં આવેલા એવિડન્સ એક્ટથી લઇને તમામ અમૂલ્ય પુસ્તકો આ લાઈબ્રેરીમાં છે.
અંદાજે બે લાખ કરતાં વધુ પુસ્તકો આ લાઈબ્રેરીમાં છે જેને વાંચીને આજે મોટા ભાગના વકીલોએ નામના મેળવી છે. કાયદો અસ્તિત્વમાં કેવી રીતે આવ્યો, કાયદો ઘડવા પાછળના ઉદ્દેશો શું હતા. અંગ્રેજોએ કાયદો અમલમાં મુક્યો તેની પાછળ કયા કયા સંશોધન કર્યા છે તેવા અને અમૂલ્ય પુસ્તકો આ લાઈબ્રેરીમાં છે જે અસ્તવ્યસ્ત ગોઠવી દેવામાં આવ્યાં છે.
જેના કારણે વકીલોને હાલાકીને સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે લો લાઈબ્રેરીના પ્રમુખ વિજય ઉપાધ્યાયે જણાવ્યું છેકે પુસ્તકો મુકી દેવામાં આવ્યાં છે થોડાક દિવસો તેને ક્રમ વાઇઝ મૂકવામાં આવશે. લાઈબ્રેરીમાં કામ કરતા કર્મચારીઓ પણ પૂરતો સપોર્ટ આપતા નથી જેના કારણે આ સમસ્ય ઊભી થઇ છે.
બ્રિટિશરોએ બનાવેલી આ લાઈબ્રેરીનું અંદાજે અઢી કરોડ રૂપિયાના ખર્ચે ગત વર્ષે રિનોવેશન શરૂ થયું હતું. જેના કારણે તમામ પુસ્તકોને પોટલાંમાં બાંધીને જેલ કમ્પાઉન્ડમાં મૂકી દેવામાં આવ્યાં હતાં, ત્યારે કેટલાંક પુસ્તકોને ૧૯ હજાર રૂપિયામાં પસ્તીમાં વેચી દીધાં હતાં. થોડાક મહિના પહેલા લાઈબ્રેરીનું રિનોવેશન થઇ ગયું હતું.
લાઈબ્રેરીનું ઉદઘાટન કરવાનું હોવાના કારણે ૧૪ તિજોરી તેમજ રેકને કલર કરીને બહારથી માણસો બોલાવીને એક લાખ રૂપિયાના ખર્ચે પુસ્તકોને જેલ કમ્પાઉન્ડથી લાઈબ્રેરી સુધી લાવવામાં આવ્યાં હતાં. બહારથી બોલાવેલી વ્યકિતઓએ પુસ્તકાલયમાં પુસ્તકોને તેનું વર્ગીકરણ કરીને મૂકવામાં આવ્યાં નથી. જેમ તેમ પુસ્તકો ગોઠવી દીધાં છે. ક્રિમિનલ, સિવિલ, એમએસીટી, ફેમિલી લો, બંધારણને કાયદાઓને લગતાં પુસ્તકો ભેગા થઇ જતાં સમસ્યા સર્જાઇ છે.
લાઈબ્રેરીના આઠ રૂમને એસી મૂકવામાં આવતા વિવાદ સર્જાયો છે. લાઈબ્રેરીના કમીટીમાં કેટલાક લોકોએ પ્રિન્સિપાલ જજને એસી મૂકવા નહી દેવાની વાત કરી હતી ત્યારે કેટલાક લોકોએ સ્વખર્ચે એસી લગાવવાની વાત કરી હતી. બન્ને વિવાદ બાદ પ્રિન્સિપાલ જજની અનુમતિથી કુલ આઠ એસી લગાવવામાં આવ્યાં છે.
અઢી કરોડના ખર્ચે તૈયાર થયેલી લાઈબ્રેરીમાં રાજનીતિ શરૂ થઇ ગઇ છે. વકીલ જગત ચોકસી તેમજ વિજય ઉપાધ્યાય સહિતના અન્ય એક વકીલે પોતાના ખર્ચે ૨૦ ખુરશી લાઈબ્રેરીમાં વસાવી છે. જેના કારણે રાજકારણ થયુ છે. કેસરી કલરની ખુરશી હોવાના કારણે ભાજપના રંગની ખુરશી લાવ્યા હોવાની ફરિયાદ ઊઠી છે.
અંગ્રેજોના સમયમાં બનેલ આ લો લાઈબ્રેરીમાં આજ દિન સુધી કોઇ લાઈબ્રેરિયન નથી અને માત્ર ત્રણ લોકોનો સ્ટાફ છે જેમને રેગ્યુલર પગાર પણ આપવામાં આવતો નથી. કોઇપણ લાઈબ્રેરીમાં લાઈબ્રેરિયન ફરજિયાત હોય છે. જે લાઈબ્રેરી તેમજ પુસ્તકોની સારસંભાળ રાખે છે. લાઈબ્રેરિયન નહીં હોતા પુસ્તકો અસ્તવ્યસ્ત છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે.
લાઈબ્રેરીમાં બુક કાર્ડ પણ અપડેટ કરવામાં આવતા નથી જ્યારે પુસ્તકોની યાદી સરખી રીતે જાણવળી કરવામાં આવી નથી જેના કારણે મોટા ભાગના કિમતી પુસ્તકો સગેવગે થઇ ગયાં છે. આજે વકીલને પુસ્તક જોઇતું હોય તો યોગ્ય સમય પર મળતુ નથી. ઇ-જરનલ તેમજ કોર્ટના જજમેન્ટ તાત્કાલીક મળી રહે તે માટે છ કમ્પ્યૂટર વસાવવામાં આવ્યાં છે પરંતુ તેને ઓપરેટ કરનાર નહીં હોતા તે બંધ હાલતમાં છે.