પાલનપૂરના દલડાવા ગામનો યુવક નવરાત્રીના દિવસોમાં આધુનિકતાથી પર રહી એક પગે ઉભા રહીને માં અંબાની આરાધના કરે છે.
પાલનપુરના દલડાવા ગામના યુવકની અદ્ભૂત આરાધના
સુરેશ ચૌહાણ એક પગે ઉભા રહી કરે છે માં ની સાધના
આધુનિકતાથી પર ભક્તો કરી રહ્યા છે ભક્તિ
ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં નવરાત્રીની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. જગત જનની મા શકિતની આરાધનામાં ભક્તો લીન્ન બન્યા છે. તેવામાં બનાસકાંઠાના દલવાડા ગામના સુરેશ ચૌહાણ નામનો યુવાન છેલ્લા 20 એક વર્ષથી નવરાત્રીના નવ દિવસ નકોરડા ઉપવાસ કરે છે એટલું જ નહિ એક પગે ઉભા રહીને માં અંબાના નામનું રટણ પણ કરે છે.
સમગ્ર પરિવાર તેની સેવામાં કાર્યરત
આજે ગુજરાતના છેવાડાના ગામડાઓમાં પણ હવે નવરાત્રી માં આધુનિકતાના નામે લાખો રૂપિયાનો ખર્ચ ડી.જે. અને અન્ય વાજીંત્રો પાછળ ખર્ચી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના દલવાડા ગામના સુરેશ ચૌહાણની માતાજી પ્રત્યેની આસ્થા આજે પણ અકબંધ રહી છે. તેઑ વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે એક પગે ઉભા રહીને માતાજીની આરાધના કરે છે. માતાજીની સાધાનામાં છેલ્લા 20 એક વર્ષથી આ યુવકનો સમગ્ર પરિવાર તેની સેવામાં કાર્યરત રહે છે.
આગામી સમયમાં પણ માતાજીની સાધના ચાલુ રાખવાની ખેવના
સુરેશભાઈ સતત નવ દિવસ સુધી એક પગ પર ઉભા રહી માત્ર દોરડાના સહારે ,પાણી અને ચા પી સતત માળા જપે છે. દોરડાના હિંચકા પર જ સુવાનું કે આરામ કરવાનો અને સતત માતાજીના નામનું રટણ કરે છે. જેને લઇને કોઈ અનોખી શક્તિથી આ બધું શક્ય હોય તેમ તેઓ જણાવે છે. આ અંગે સુરેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન નકોરડા ઉપવાસ રાખીને 20 વર્ષથી શક્તિની સેવા કરીને શરીરને કસ્ટ આપું છું. વધુમાં મારા કુટુંબ,પરિવાર, ગામ અને વિશ્વના કલ્યાણ અર્થે માતાજીની આરાધના કરી રહ્યો છું અને આવનાર સમયમાં પણ માની આરાધના આ રીતે જ અવિરત પણે ચાલુ રાખવાની ખેવના છે.