કોરોના મહામારીને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનને બદલે અનલોક-1 એવું નામ અપાયું છે. અનલોક-1માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે..ધાર્મિક સ્થળોને પણ આગામી 8 જૂનથી ખોલવાની મંજૂરી અપાઇ છે. ત્યારે ધાર્મિક સ્થળો ખોલવા અંગે કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
ધાર્મિક સ્થળો માટે નવી ગાઇડલાઇન
કન્ટેઇનમેન્ટ ઝોનના ધાર્મિક સ્થળો રહેશે બંધ
પ્રવેશ ગેટ પર થર્મલ સ્ક્રીનિંગ અને સેનેટાઇઝર ફરજિયાત
સરકારે જાહેર કરેલ નવી ગાઇડલાઇન મુજબ કન્ટેઇનમેન્ટ ઝોનના ધાર્મિક સ્થળો બંધ રહેશે. જ્યારે અન્ય ઝોનમાં ધાર્મિક સ્થળોને ખોલી શકાશે. પરંતુ આ ધાર્મિક સ્થળોમાં જતા પહેલા કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. જેમ કે મંદિર, મસ્જિદ કે ચર્ચના પ્રવેશ ગેટ પર થર્મલ સ્ક્રીનિંગ અને સેનેટાઇઝર ફરજિયાત કરવું પડશે.
આ સાથે જ કોરોનાના લક્ષણ વિનાના લોકોને જ ધાર્મિક સ્થળમાં પ્રવેશ અપાશે. એટલું જ નહીં માસ્ક વિનાના લોકોને પરિસરમાં નો-એન્ટ્રીનો આદેશ કરાયો છે. નવી ગાઇડલાઇનમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે પોતાના વાહનમાં જ બુટ-ચપ્પલ ઉતારવાના રહેશે. ધાર્મિક પરિષરમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઇએ. ધાર્મિક સ્થળે પ્રવેશ અને એક્ઝિટ ગેટ અલગ રાખવા પડશે.
લોકોનો મેળાવડો ન થાય એ જવાબદારી સંસ્થા-ટ્રસ્ટની
તો મૂર્તિ-પ્રતિમા અને પવિત્ર પુસ્તકને સ્પર્શ કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. આ સાથે સાથે લોકોનો મેળાવડો ન થાય એ સંસ્થા-ટ્રસ્ટની જવાબદારી રહેશે. પરિસરમાં સંગીત માટે કોઇ ગ્રુપ નહીં પણ રેકોર્ડેડ સંગીત વગાડવું પડશે. મંદિર, મસ્જિદ અને ચર્ચમાં સામુહિક પ્રાર્થના ન થાય તે માટે પણ માહિતગાર કરવામાં આવ્યાં છે.