ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના પરિણામની તારીખ જાહેર : 17 જુલાઈએ સવારે 8 કલાકે શાળાઓ ઓનલાઇન વેબસાઇટ પર જોઇ શકશે પરિણામ
ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના પરિણામની તારીખ જાહેર
17 જુલાઇના ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
શાળાઓ ઓનલાઇન વેબસાઇટ પર જોઇ શકશે પરિણામ
ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના પરિણામની તારીખ જાહેર થઈ ચૂકી છે. 17 જુલાઇના દિવસે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. જો કે, શાળાઓ જ ઓનલાઇન વેબસાઇટ પર પરિણામ જોઈ શકશે. સવારે 8 કલાકે શાળાઓ જોઇ શકશે ધો-12 સાયન્સનું પરિણામ.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 17 જુલાઈએ જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે 8 વાગ્યે result.gseb.org પર જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. માર્કશીટ તૈયાર કરવાની ફોર્મ્યુલા તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે.
ગુજરાતમાં ધોરણ-12ના પરિણામ પહેલા હાઈકોર્ટમાં રીટ
ગુજરાતના શિક્ષણ વિભાગને લઈ કોરોના બાદ અનેક મુદ્દે વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના મામલે અરજી બાદ વધુ એક રીટ દાખલ થઈ છે. જેતપુરના વિદ્યાર્થીએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી છે. અરજદારે રજૂઆત કરી છે કે, ધોરણ 12ના સામાન્ય પ્રવાહના પરિણામમાં ધોરણ-10ના ગણિતના માર્ક્સને ધ્યાનમાં લેવામાં આવવા જોઈએ. શિક્ષણ બોર્ડ દ્વારા સાયન્સના વિદ્યાર્થીઓના જ ધોરણ-10ના માર્ક્સ ધ્યાને લઈને પરિણામની પેટન્ટ નક્કી કરી હોવાની અરજદારે રજૂઆત કરી છે. જે ખોટું છે. આ બાદ ગુજરાત હાઈકોર્ટે GSEB બોર્ડને સોમવાર સુધી જવાબ આપવા માટેનો સમય આપ્યો હતો.
વિદ્યાર્થી અરજદારની રજૂઆત છે કે, સાયન્સ અને કોમર્સ માટે ગણિત એકસમાન મહત્વ રાખે છે. અને ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10માં માર્ક્સ ધ્યાને લેવાય અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે માર્ક્સ ધ્યાને ન લેવામાં આવે તો, મેરીટ ઘટે છે. આ કારણે તેમને ભવિષ્યમાં મુશ્કેલી પડી શકે છે. આ સાથે શિક્ષણ પ્રધાનને પણ રજૂઆત કરી હતી કે, ધો-12માં એકાઉન્ટ અને આંકડા શાસ્ત્રના વિષયમાં ધો.10નું ગણિત ધ્યાને ન લેતા મોટાભાગના વિદ્યાર્થીઓના માર્ક્સની ટકાવારીમાં ઘટાડો થશે. મહત્વનું છે કે, ધોરણ-12નું પરિણામ જાહેર થયું નથી. ધોરણ-10નું થઈ ગયું છે. પણ સમગ્ર મામલે રજૂઆત એવી છે કે, ગણિત વિષયના માર્ક્સને ધ્યાને લઈ ધો.12નું પરિણામ જાહેર કરવું જોઈએ.