કોરોના મહામારીના કારણે છેલ્લા આઠ મહિનાથી સ્કૂલો બંધ રાખવામાં આવી છે. રાજય સરકાર દ્વારા ૧૧મી જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ધોરણ ૧૦ અને ૧૨ની શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સથી કલાસમાં વધુમાં વધુ ૨૫ વિદ્યાર્થીને બેસાડવાના હોવાથી જે તે વિષય શિક્ષકે એક જ વર્ગમાં બે વાર ભણાવવો પડશે. એસઓપી પ્રમાણે માત્ર ચાર કલાક જ અભ્યાસ કરાવાનો હોવાથી મુખ્ય વિષય ભણાવાશે.
શાળા સંચાલકો દ્વારા સ્કૂલો ખોલવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કલાસ રૂમમાં વિદ્યાર્થીઓને છ ફૂટના અંતરેથી બેસાડવાના રહશે. એક કલાસમાં વધારેમાં વધારે ૨૫ વિદ્યાર્થીઓ બેસાડી શકાશે. એટલું જ નહીં એક બેન્ચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવશે.
જેના કારણે ૫૦ વિદ્યાર્થીઓના બે કલાસ બનશે. તેથી એક જ કલાસના વિષય શિક્ષકે ૫૦ વિદ્યાર્થીઓને એક જ વિષય બે વાર ભણાવવો પડશે. કારણ કે એક જ ક્લાસના વિદ્યાર્થીઓ વિભાજિત થતાં બે ક્લાસ બનશે એટલે બંને ક્લાસમાં એ જ વિષય ભણાવવાનો રહેશે રાજય સરકારે જાહેર કરેલી એસઓપી પ્રમાણે ચાર કલાકથી વધારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકાશે નહીં.
જેના કારણે 30 મિનિટનો એક પિરિયડ લેવામાં આવશે અને મુખ્ય વિષયોને આવરી લેવાશે. કોરોના પહેલાં જયારે નોર્મલ રીતે સ્કૂલો ચાલુ હતી તે સમયે એક પિરિયડ ૩૫ મિનિટ થી ૪૫ મિનિટનો રહેતો હતો. જોકે હવે ૩૦ મિનિટ જ અભ્યાસ કરાવી શકાશે. મુખ્ય વિષય સિવાયના ગાૈણ વિષયને ઓછું પ્રાધન્ય અપાશે.
શાળાના પટાંગણમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ભાગ રૂપે સર્કલ પણ દોરી દેવાયાં છે . શાળા સંચાલકોના મતે ૭૦ ટકા જેટલો અભ્યાસ ઓનલાઇન જ પૂરો થઇ ગયો છે. જેથી માત્ર ૩૦ ટકા કોર્સ ભણાવવાનો રહેશે. ધોરણ ૧૦-૧૨ બોર્ડ હોવાથી મુખ્ય વિષય ભણાવવા પર ફોકસ કરાશે.