વડોદારામાં ટેસ્ટિંગ માટે લાઈનો 4 દિવસે પણ નથી મળતા રિપોર્ટ, ગોત્રી હોસ્પિટલમાં થાય છે તપાસ
રિપોર્ટ આપવામાં તંત્રનો ઉત્સાહ નહીં
હોસ્પિટલમાં સ્ટાફની છે અછત
કપરા સમયે અછત કેટલી ઘાતક?
રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.દિવસેને દિવસે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.પરંતુ કેટલીક જગ્યાએ હજુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.અને આ જ ઘોર નિંદ્રા ભારે પડી શકે છે.વાત વડોદરાની છે જ્યાં ગોત્રી હોસ્પિટલમાં ટેસ્ટિંગ માટે આવેલા 1500 જેટલા RT-PCR રિપોર્ટ પેન્ડિંગ છે.રોજના 500 સેમ્પલ ટેસ્ટિંગ માટે આવે છે પણ એક પણ રિપોર્ટનું પરિણામ ટાઈમે મળતું નથી
હોસ્પિટલના માત્ર આઠ કર્મચારી, 16-16 કલાક કામ
આ વાત છે વડોદરા શહેરની.જ્યાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.સતત વધતા કેસને લઈ શહેરીજનોમાં ડરનો માહોલ છે.સંક્રમણ એટલું ફેલાઈ ગયું છે કે મોટી સંખ્યામાં લોકો હાલ ટેસ્ટ કરાવવા માટે ઉમટી રહ્યા છે.આ દ્રશ્યો વડોદરાના અલગ અલગ ટેસ્ટિંગ સેન્ટરના છે.સયાજી હોસ્પિટલ સહિત વિવિધ વોર્ડના અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટિગ માટે સેમ્પલ લેવામાં આવે છે.અને આ તમામ સેમ્પલ ગોત્રી હોસ્પિટલની લેબમાં આવે છે.ખાસ જે RT-PCR ટેસ્ટના સેમ્પલ આવે છે તેનું ટેસ્ટિંગ ગોત્રી હોસ્પિટલમાં થાય છે.પરંતુ આવા કપરા સમયે ગોત્રી હોસ્પિટલમાં સ્ટાફના અભાવે લોકોને સમયસર ટેસ્ટનો રિપોર્ટ મળતો નથી.અનેક દિવસો સુધી દર્દીને એ જાણવા નથી મળતું કે તે નેગેટિવ છે કે પોઝિટિવ.કોરોનાની કામગારીમાં હાલ હોસ્પિટલના માત્ર આઠ કર્મચારી જ સંભાળી રહ્યા છે.તેઓ 16-16 કલાક કામ કરી રહ્યા છે.હવે આવા કપરા સમયમાં ઓછો સ્ટાફ વડોદરાના લોકો માટે ભારે પડી શકે છે.
1500 જેટલા રિપોર્ટ હાલ પેન્ડિંગ
વડોદરા મહાનગરપાલિકા હસ્તગત આવેલા તમામ અર્બન હેલ્થ સેન્ટરમાંથી એકત્રિત કરાયેલા RT-PCRના નમૂના ગોત્રી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.અહીં રિપોર્ટ ચાર દિવસ સુધી મળતો નથી.1500 જેટલા રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.સ્ટાફ 16 કલાક કામગીરી કરીને રિપોર્ટ તૈયાર કરી રહ્યો છે પરંતુ સતત વધી રહેલા ટેસ્ટિંગને કારણે સ્ટાફની અછત વર્તાઈ રહી છે.તાજેતરમાં જ આ સમસ્યાને ધ્યાનમાં રાખી 15 જેટલા ટેક્નિશીયન અને ડેટા ઓપરેટરની મહેકમ ભરવા માટેની રજુઆત બાદ તેઓની તાબડતોબ ભરતી કરવામાં આવી છે. પરંતુ હજી ભરતી કરાયેલો સ્ટાફ હાજર થયો નથી.જેના કારણે સમસ્યા વિકટ બની રહી છે.
સોમવારે કેટલા કેસ આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને સ્ટાફની અછત તે સ્થિતિ વધારે બગાડી શકે છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 હજાર 753 કેસ સામે આવ્યા છે.સૌથી વધુ અમદાવાદમાં ચાર હજાર 409 કેસ આવ્યા છે અને પાંચ લોકોના મોત થયા છે.વડોદરામાં એક હજાર 207 કેસ સામે આવ્યા છે.અને કેસ સતત વધી રહ્યા છે.આગામી સમયમાં રાજ્યમાં સ્થિતિ વધારે વિકટ બને તો નવાઈ નહીં.