વાયુ વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રમાં એસટી બસના પૌડા થંભી ગયા છે. સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસ 14 જૂન સુધી રદ કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ રેલવેએ ગુજરાતના વિવિધ રૂટની 110 ટ્રેનોને રદ કરી દિધી છે. પોરબંદર, દીવ, ભાવનગર, કંડલા વિસ્તારમાં વિમાની સેવા બંધ કરી દિધી છે.
રાજ્ય પરથી વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. પરંતુ હજુ લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. શનિવાર સુધી વાવાઝોડું સમુદ્રમાં જ રહેશે જે શનિવાર સાંજે વિખેરાઇ જશે. ત્યારે 40થી 70 કિમીની ઝડપે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પવન ફુંકાઇ શકે છે સાથે ભારે વરસાદની પણ આગાહી છે. જેને લઇને એસ.ટી. સેવા, ટ્રેન સેવા અને વિમાની સેવા રદ્ કરી દેવામાં આવી છે.
બસ, રેલવે અને વિમાની સેવા પર વાયુ વાવાઝોડાની ખાસ અસર
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ જતી 100થી વધુ એસટી બસોને રદ કરી દેવામાં આવી છે. 14 જૂનની રાત સુધી વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં બસ સેવા બંધ રહેશે. આ નિર્ણય એક્સપ્રેસ અને પ્રિમિયમ બસો માટે લેવામાં આવ્યો છે. એટલે જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હશે તેને એસટી તંત્ર રિફંડ આપશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. તો કેટલીક બસોનો ઉપયોગ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવા માટે પણ થઈ રહ્યો છે.
સૌરાષ્ટ્રના યાત્રાધામો તરફ જનાર ST બસોના રૂટ રદ્
સૌરાષ્ટ્રના યાત્રાધામો તરફ જનારી એસટી બસોના રૂટ પણ રદ્ કરવામાં આવ્યા છે. જ્યારે જે લોકોએ એડવાન્સમાં બુકિંગ કરાવ્યું હતુ તેઓને ઓટો રિફંડ અપાશે. તો એસટી બસોમાં જ યાત્રાળુઓને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. 271 ટ્રીપ મારફતે યાત્રાળુઓને તેમના વતન મોકલવામાં આવ્યા છે. આ 271 ટ્રીપમાં 10 હજાર 419 મુસાફરોને તેમના વતન મોકલવામાં આવ્યા છે.
જેતપુરના ST ડેપો દ્વારા ST બસના તમામ રૂટ બંધ કરાયા
વાયુ વાવાઝોડાની અસરને લઈને જેતપુરના ST ડેપો દ્વારા ST બસના તમામ રૂટ બંધ કરાયા છે. તો ઉપરથી આવતી તમામ બસોને ડેપોમાં જ રોકી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુજરાત સરકારના આદેશના પગલે ST બસના તમામ રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેને લઈને હાલ બસ સ્ટેન્ડમાં મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે. મહત્વનું છે કે, સરકારના આદેશ સુધી ST બસના રૂટો બંધ રહી શકે છે.
રાજકોટ-ભુજ-દિવ-વેરાવળના રૂટ રદ્
રાજકોટમાં વાયુ વાવાઝોડાના પગલે ST વિભાગનો નિર્ણય લેવાયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પસાર થતા તમામ રૂટ રદ્દ કરાયા છે. રાજકોટ-વેરાવળના 10 રૂટ,રાજકોટ-દિવના 8 રૂટ રદ્દ કરાયા છે. રાજકોટ-ભુજના 18 રૂટ રદ્દ કરાયા છે. રૂટ રદ્દ થતા મુસાફરોને હાલાકી સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર તરફ જતી બસોને ડેપો પર હોલ્ડ કરવા સૂચના અપાઇ છે.
પંચમહાલ S.T. વિભાગે સૌરાષ્ટ્ર તરફ જતી S.T. બસોની ટ્રીપ રદ્ કરી
ચક્રવાત વાયુના પગલે હવે પંચમહાલ એસ.ટી., વિભાગે સૌરાષ્ટ્ર જતી એસટી બસોની 15 જેટલી ટ્રીપ રદ કરી છે. ચક્રવાત વાયુના પગલે અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પંચમહાલ એસટી વિભાગે આ નિર્ણય લીધો છે. પ્રાપ્ત વિગતો મુજબ, સાંજે સૌરાષ્ટ્ર જતી 15 જેટલી એસટી બસોની ટ્રીપ રદ કરી દેવામાં આવી છે. કચ્છ, જામનગર, સોમનાથ, ગારિયાધારની પણ ટ્રીપ રદ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, વાયુ ચક્રવાતનો ખતરો સૌરાષ્ટ્ર અને પોરબંદર જોવા મળી શકે છે. જેથી પંચમહાલે એસટી વિભાગે આ નિર્ણય લીધો છે.
110 ટ્રેનોને કરવામાં આવી રદ્, સૌરાષ્ટ્રમાં વિમાની સેવા રોકાઈ
બીજી તરફ પશ્ચિમ રેલવેએ ગુજરાતના વિવિધ રૂટની 110 ટ્રેનોને રદ કરી દિધી છે. સાથે જ કેટલીક ટ્રેનને ટુંકાવી દેવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પણ વાયુ વાવાઝોડાની ગંભીરતાને જોતા મોટો નિર્ણય લીધો. જ્યારે પોરબંદર, દીવ, ભાવનગર, કંડલા વિસ્તારમાં વિમાની સેવા બંધ કરી દિધી છે.
List of cancelled/partially cancelled/short terminated trains by Western Railway due to cyclone ‘vayu’ pic.twitter.com/BBhThB5tfR
— Ministry of Railways (@RailMinIndia) June 12, 2019
અમદાવાદમાં એસ.ટી. બસો કરાઈ રદ્
વાયુ વાવાઝોડાને લઇ અમદાવાદમાં એસટી બસોને રદ કરી દેવાઇ છે. યાત્રાધામ માટે ફાળવેલી એસટી બસોને રદ કરી દેવાઇ છે. એસટી નિગમ દ્વારા સાવચેતીના ભાગ રૂપે સૌરાષ્ટ્ર જઇ રહેલી 100થી વધુ બસો રદ કરી દેવાઇ છે. અને તમામને એસટી નિગમ દ્વારા ભાડું રિફંડ આપવામાં આવશે.
સૌરાષ્ટ્રમાં 170 બસો લોકોને સ્થળાંતર કરવા મુકાઇ
અમદાવાદ એસ.ટી.નિગમ દ્વારા પણ ચક્રવાતને લઈને કંટ્રોલ રૂમ શરૂ કરાયો હતો. રાજ્યના તમામ બસ સ્ટેશનો પર અધિકારીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં 170 બસો લોકોને સ્થળાંતર કરવા મુકાઈ હતી. એટલું જ નહીં પરંતુ વધુ જરૂર જણાશે તો કન્ટ્રોલ રૂપથી સીધું જ અધિકારીઓ નિરીક્ષણ કરશે. જ્યાં પણ મદદની જરૂર જણાશે ત્યાં તાત્કાલીક ધોરણે બસ દોડાવવામાં આવશે.