શહેરનાં ઘોડાસર વિસ્તારમાં મોડી રાત્રે એસ.ટી. બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. ડમ્બરની ટક્કરથી એસ.ટી. બસે પલટી ખાતાં ૧૪ પેસેન્જર ગંભીર રીતે ઘવાયા હતા. જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘોડાસર વિસ્તારમાં મોડી રાત્રે પેસેન્જરો ભરેલી એસ.ટી. બસ પસાર થતી હતી ત્યારે પુરઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર વાગતાં એસ.ટી. બસે પલટી ખાધી હતી. જેમાં ૧૪ પેસેન્જરો ઘવાયા હતા. આ ઘટનાની જાણ ૧૦૮ને થતા તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
બસમાં સવાર પેસેન્જરો જગદીશભાઇ પાસવાન, પરસીંગ રાઠવા, ભાર્ગવી બહેન, રોશનીબહેન, પ્રકાશભાઇ, રોનકભાઇ, સંગીતાબહેન ઠાકોર, જેણાજી ઠાકોર, નિકિતા ઠાકોર, મયૂર ઠાકોર, જિતેન્દ્રભાઇ તેમજ મોહંમદ શાહને ગંભીર ઇજા થઇ હતી. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. ઇજાગ્રસ્તમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય પેસેન્જરોને નાની-મોટી ઇજા થતાં તેમને પ્રાથમિક સારવાર આપી જવા દેવાયા હતા. પોલીસે આ મામલે ડમ્પરચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.