ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના એસ.ટી નિગમને લઇને પ્રશ્ન પૂછાયો હતો. જે અંગે વાહન વ્યવહાર મંત્રીએ જવાબ આપ્યો હતો. જેમાં ગુજરાત એસ.ટી નિગમ પાસેથી લેણાની રકમ જાહેર કરવામાં આવી હતી.
રાજ્યનું એસ.ટી નિગમ ખોટના ખાડામાં
સરકારને એસ.ટી નિગમ પાસેથી 3326.12 કરોડનુ લેણુ
કુલ રકમમાં 3146.07 કરોડની જંગી લૉન
ગુજરાતમાં જંગી ખોટમાં ચાલતી એસ.ટી નિગમ પાસેથી રાજ્ય સરકારે 3326.12 કરોડ રૂપિયા લેવાની નકળે છે. આ રકમ ક્યારે વસુલાશે તેનો રાજ્ય સરકારે કોઇ જવાબ નથી આપ્યો. ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન નિઝરના ધારાસભ્ય સુનિલ ગામિત દ્વારા એસ.ટી. નિગમ પાસેથી રાજ્ય સરકારને લેવાની નિકળતી રકમ અંગે પ્રશ્ન પૂછાયો હતો.
જેનો લેખિતમાં જવાબ આપતા વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારને એસ.ટી નિગમ પાસેથી 3326.12 કરોડનુ લેણુ છે. કુલ રકમમાં 3146.07 કરોડની જંગી લૉન આપેલી છે. જ્યારે પેસેન્જર ટેક્સ પેટે 157.30 કરોડ લેવાના બાકી નીકળે છે. સાથે મોટર વ્હિકલ ટેક્સની રકમ પેટે 22.75 કરોડનુ લેણુ છે. સરકારને 2 વર્ષથી મોટર વ્હિકલ ટેક્સ ચૂકવાયો જ નથી.
મંત્રીએ વધુમાં જવાબ આપતા જણાવ્યું હતું કે વર્ષ 2018માં લોનની બાકી રકમ 52.81 કરોડ અને પેસેન્જર ટેક્સના રૂપિયા 102.15 કરોડ મળ્યા હતા. જ્યારે વર્ષ 2019માં માત્ર રૂપિયા 72.18 કરોડ પેસેન્જર ટેક્સ ચુકવવામાં આવ્યો છે. આમ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા 227.14 કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે.