જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના સતત વધતા જતા દબાણ અને કડક કાર્યવાહીના કારણે સક્રિય આતંકવાદીઓની સંખ્યા ભલે ઘટી રહી હોય, પરંતુ હવે બહુ ઝડપથી વધી રહેલી ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (ઓજીડબલ્યુ)ની સંખ્યા સુરક્ષા એજન્સીઓ માટે સૌથી મોટો પડકાર બની ગઈ છે.
સરકારી આંકડાઓ અનુસાર, સમગ્ર રાજ્યમાં લગભગ 246 આતંકીઓ સક્રિય છે, પરંતુ તેમના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની સંખ્યા 2,186 છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, જે જિલ્લાઓમાં એક પણ આતંકીનું અસ્તિત્વ જ નથી ત્યાં પણ તેમના ઓડબલ્યુજી સક્રિય છે. ફક્ત લદ્દાખ એવું ક્ષેત્ર છે, જ્યાં ન તો આતંકીઓ છે કે ન તેમના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ છે.
તાજેતરમાં જ રાજ્ય પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર કાશ્મીર ઘાટીમાં ફક્ત ગાંદરબલ જ એકમાત્ર એવો જિલ્લો છે, જ્યાં કોઈ આતંકી નથી, પરંતુ ત્યાં પણ 38 ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સક્રિય છે.
એ જ રીતે જમ્મુની અંદર આવતા જમ્મુ, સાંબા અને ઉધમપુર જિલ્લામાં કોઈ આતંકી કે તેમના ઓડબલ્યુજી નથી. આ ઉપરાંત રિયાસી, ડોડા અને રામબનમાં આતંકી ભલે ન હોય પણ રિયાસીમાં 182, ડોડામાં 74 અને રામબનમાં 122 એટલે કે કુલ 370 ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ આતંકીઓ માટે કામ કરી રહ્યા છે. કઠુઆમાં સાત આતંકીઓ છે, જ્યારે તેની સામે 135 ઓજીડબલ્યુ, કિશ્તવાડમાં પણ સાત આતંકીઓ અને 135 ઓજીડબલ્યુ છે.
આતંકીઓ કરતાં પણ વધુ ખતરનાક છે તેમના ઓજીડબલ્યુ
સુરક્ષા એજન્સીઓ અને સેનાના ઉચ્ચસ્તરીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ આતંકીઓ કરતા પણ વધુ ખતરનાક હોય છે. આ લોકો સામાન્ય નાગરિકની જેમ જ રહેતા હોય છે, પણ આતંકીઓ માટે ઘણા કામ કરે છે. તેઓ આતંકીઓને સુરક્ષાદળોની તમામ બાતમી-માહિતી પહોંચાડે છે એટલું જ નહીં, પણ આતંકીઓ માટે હથિયારો, નાણાં (ફંડ) અને સુરક્ષિત સ્થળો (સેફ હાઉસ)ની વ્યવસ્થા પણ કરે છે.
આતંકવાદીઓ માટે તેઓ રાજ્યના મહત્વના સ્થળોની રેકી પણ કરે છે. કેટલીક વખત આતંકી હુમલાનો સમય અને સ્થળ પસંદ કરવાથી લઈને સમગ્ર ષડ્યંત્રની જવાબદારી આ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ જ સંભાળતા હોય છે. આ ઉપરાંત તેઓ આતંકી સંગઠનો માટે કાશ્મીરના રાહ ભટકેલા યુવાનોની ભરતી અને તેમની તાલીમનું કામ પણ સંભાળે છે.