કળિયુગમાં સંસારમાં રચ્યાપચ્યા જીવોમાં જ્ઞાન અને વૈરાગ્ય લગભગ નાશ પામેલા છે પ્રભુ પ્રત્યેની સાચી ભક્તિમાં પણ ઓટ આવી ગઇ છે ચારે બાજુ પાપાચાર ફેલાયેલો છે. ત્યારે શ્રીમદ્ ભાગવત કથા શ્રવણથી મનુષ્યમાં પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ ફરી જાગે અને માનવીના મનમાં સુષુપ્ત દશામાં પડેલાં જ્ઞાન અને વૈરાગ્ય ફરી જાગૃત થાય. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા મોહ અને અહંકારનો નાશ થાય અને વિવેક બુદ્ધિનો ઉદય થાય.
એક વખત બદરિકાશ્રમમાં સનકાદિ મુનિઓ આવ્યા. ત્યાં તેમણે નારદ મુનિને જોયા. તેમનું મુખ ઉદાસ હતું. સનકાદિ મુનિઓએ નારદ મુનિને તેમની ઉદાસીનું કારણ પૂછ્યું. નારદજી કહે, હે મુનિઓ પૃથ્વી પર હું અનેક જગ્યાએ ફર્યો. કળિયુગમાં થતાં પાપો જોઇ મને ખૂબ દુ:ખ થયું. એક દિવસ સવારે વહેલા ઊઠી સ્નાન કરવા યમુના તટે ગયો ત્યારે મેં એક આશ્ચર્ય જોયું. એક યુવાન સ્ત્રી ઉદાસ ચહેરે બેઠી હતી. અને તેની પાસે બે વૃદ્ધ પુરુષો મૂર્છિત અવસ્થામાં પડેલા હતા. મને જોઇ યુવતી મારાં પગમાં પડી. મેં તેને પૂછયું, બહેન ! તું કોણ છે? યુવતીએ કહ્યું કે મારું નામ ભક્તિ છે. આ મારાં પુત્રો એક જ્ઞાન અને બીજો વૈરાગ્ય. કાળે કરીને બંને વૃદ્ધ થઇ ગયા છે. બંને મૂર્છિત દશામાં પડ્યા છે, જાગ્રત થતા નથી. હું ખૂબ દુ:ખી છું. આપ આ મારા બે પુત્રોને ભાનમાં લાવવામાં મને મદદ કરો.
માતા યુવાન અને દીકરા વૃદ્ધ! મને ખૂબ આશ્ચર્ય થયું . મેં અનેક મંત્રો બોલી જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા કોશિશ કરી પણ વ્યર્થ. ભક્તિએ મને પૂછયું, હે મુનિ ! મારાં આ બે દીકરાઓ કેમ જવાબ આપતા નથી? મેં ભક્તિને વચન આપ્યું કે, હે પુત્રી, હું તને જરૂર મદદ કરીશ પણ અત્યારે મને જવા દે. ઉપાય મળતાં હું જરૂર પાછો આવીશ. ત્યાંથી નીકળી હું અનેક સ્થળોએ ફરતો ફરતો સંત-મહાત્માઓને મળ્યો. ઉપાય પૂછયા પણ વ્યર્થ. ભક્તિને મેં વચન આપ્યું છે, હું મથુરાથી બદરિકાશ્રમ આવ્યો. આપ મને અહીં મળ્યા. મને આ કામમાં આપ કૃપા કરી મદદ કરશો. જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરી તેઓમાં ફરી ચેતના પ્રગટાવવાનો માર્ગ બતાવશો.”
સનતકુમાર ભાઇઓએ હરિદ્વારમાં પ્રથમવાર શ્રીમદ્ ભાગવતની કથા કહી સંભળાવી. જેમ દૂધમાં ઘી અને શેરડીમાં સાકર રહેલી છે તેમ શ્રીમદ્ ભાગવતમાં પરમાત્મા વિશેનું જ્ઞાન રહેલું છે. ગંગા કિનારે જ્યારે સનતકુમાર હજારો ઋષિ મુનિઓ સહિત નારદજીને ભાગવત કથા કહેવા લાગ્યા ત્યારે યમુના કિનારે બેસૂધ પડેલા જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા અને પોતાની માતા ભક્તિને કહેવા લાગ્યા કે “હે મા ! જ્યાં ગંગા કિનારે ભાગવત કથા થાય છે ત્યાં અમને લઇ જા.” યુવાન માતા વૃદ્ધ દીકરાઓને ખભે નાખી ગંગા કિનારે જ્યાં ભાગવત કથા થતી હતી ત્યાં આવી.
ભાગવત કથા સાંભળી બંને દીકરાઓ જાગૃત થયા ભક્તિ હે કૃષ્ણ ! હે ગોવિંદ! કરતી પોતાના યુવાન થયેલા પુત્રોને લઇ સનકાદિ મુનિઓ પાસે જઇ વંદન કર્યાં. હે બ્રહ્મપુત્રો ! આપે આ કળિયુગમાં મને અને મારાં પુત્રોને સજીવન કર્યાં પણ હવે મારે ક્યાં રહેવું?” મુનિઓએ કહ્યું, હે ભક્તિ ! તું ભક્તો અને વૈષ્ણવોના મનમાં વાસ કર. જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય જ. શ્રીમદ્ ભાગવત શ્રવણથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉદ્ધાર થયો. કળિયુગમાં સંસારમાં રચ્યાપચ્યા જીવોમાં જ્ઞાન અને વૈરાગ્ય લગભગ નાશ પામેલા છે પ્રભુ પ્રત્યેની સાચી ભક્તિમાં પણ ઓટ આવી ગઇ છે ચારે બાજુ પાપાચાર ફેલાયેલો હતો. ત્યારે શ્રીમદ્ ભાગવત કથા શ્રવણથી મનુષ્યમાં પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ ફરી જાગે અને માનવીના મનમાં સુષુપ્ત દશામાં પડેલાં જ્ઞાન અને વૈરાગ્ય ફરી જાગૃત થાય. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા મોહ અને અહંકારનો નાશ થાય અને વિવેક બુદ્ધિનો ઉદય થાય.•