IPLની આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ કઈ ખાસ કમાલ કરી શકી નથી અને હવે આ ટીમની વાપસી થાય તેવી શક્યતાઓ લાગી રહી નથી ત્યારે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આપેલા નિવેદનથી ઘણા લોકો ભડકી ઉઠ્યા છે અને માહી પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સનું નિરાશાજનક પ્રદર્શન
ધોનીએ યુવાનોને લઈને આપેલા નિવેદન પર સ્પોર્ટ્સ જગતમાં ચર્ચા
ક્રિકેટર શ્રીકાંતે પણ ધોનીના નિવેદનથી અસહમતી દર્શાવી
IPLમાં નિરાશાજનક પ્રદર્શન
ચેન્નઈ સુપર કિંગ્સે સોમવારે સતત સાતમીવાર હારનો સામનો કરવો પડ્યો અને તે બાદ હવે પ્લેઓફની રેસમાંથી બહાર દેખાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ સામે હાર બાદ ધોનીએ એવી બે વાત કહી દીધી જેની કોઈને આશા ન હતી. સતત મળી રહેલી હાર બાદ પણ ધોની ટીમમાં ફેરફાર કરવા માંગતા નથી કારણ કે ધોનીએ કહ્યું કે ટીમમાં વધારે ફેરફાર નથી ઈચ્છતા કારણ કે ત્રણ-ચાર-પાંચ મેચ બાદ કોઈ ચીજવસ્તુને લઈને સુનિશ્ચિત ન થઇ શકાય. હું ટીમમાં અસુરક્ષાનો ભાવ નથી ઈચ્છતો.
હાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ આપ્યું નિવેદન
ધોનીએ યુવાન ખેલાડીઓ માટે જે નિવેદન આપ્યું તે કદાચ પહેલા કોઈ ખેલાડી માટે આપ્યું નહીં હોય. યુવાનોને ટીમમાં તક ન આપવાના મુદ્દે ધોનીએ કહ્યું કે આ વાત સાચી છે કે આ વખતે એટલી તકો આપવામાં આવી નથી. એવું પણ હોઈ શકે છે અમને પોતાના યુવાનોમાં તે જુસ્સો દેખાયો જ ન હોય. અમે તેમને આગળ તક આપી શકીએ છે અને તે કોઈ દબાણ વગર રમી શકે છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ યુવાનોને લઈને જે નિવેદન આપ્યું તે બાદ ખેલાડી શ્રીકાંત ભડકી ઉઠ્યા છે. શ્રીકાંતે કહ્યું કે ચેન્નઈની અસફલતાનું મોટું કારણ છે કે યુવાન ખેલાડીઓ પર તેમનો ઓછો પ્રભાવ.
શ્રીકાંતે ધોનીના નિવેદન પર દર્શાવ્યો વિરોધ
શ્રીકાંતે કહ્યું કે હું ધોનીની પ્રોસેસવાળી વાતથી સહમત નથી, તમે પ્રોસેસની વાત કરી રહ્યા છો પણ ટીમ પસંદગીની પ્રોસેસ જ ખોટી છે. શ્રીકાંતે કહ્યું કે તમે કહી રહ્યા છો કે 'યુવાન ખેલાડીઓમાં સ્પાર્ક ન હતું. શું કેદાર જાધવમાં સ્પાર્ક છે ? શું પીયુષ ચાવલાએ સ્પાર્ક દેખાડ્યો ? આ બધું ખૂબ બકવાસ છે. હું ધોનીના જવાબોથી સંતુષ્ટ નથી.' શ્રીકાંતે વધુમાં કહ્યું કે તમે પ્રોસેસની વાત કરતા કરતા ટૂર્નામેન્ટનો અંત કરી દેશો.
નોંધનીય છે કે હજુ પણ ગાણિતિક રીતે એવી શક્યતા છે કે ચેન્નઈની ટીમ પ્લેઓફમાં પહોંચી શકે પણ આટલા ખરાબ પરફોર્મન્સ બાદ હવેની મેચમાં ચેન્નઈ શું કમાલ કરે છે તે જોવાનું રહે છે.