શ્રીલંકા ક્રિકેટ ટીમનાં સીનિયર ખેલાડીઓએ સુરક્ષાનાં કારણોથી પાકિસ્તાનની મુલાકાત પર જવાની ના કહી હતી. ત્યાર બાદ પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેક્નિકી મંત્રી ફવાદ ચૌધરીએ આનો આરોપ ભારત પર લગાવ્યો હતો. ફવાદનાં આ નિવેદન બાદ શ્રીલંકાનાં રમતમંત્રી હરિન ફર્નાંડો પાકિસ્તાનને આકરો જવાબ આપતા ભારતનાં પક્ષમાં તેઓ સપોર્ટ કરતા જોવાં મળી રહ્યાં છે.
શ્રીલંકાનાં 10 ખેલાડીઓની પાકિસ્તાન જવાની સ્પષ્ટ ના
ફવાદ ચૌધરીએ લગાવ્યો હતો ભારત પર આરોપ
પાકિસ્તાન (Pakistan) નાં વિજ્ઞાન અને ટેક્નિકી મંત્રી ફવાદ ચૌધરી (Fawad Chaudhry) એ મંગળવારનાં રોજ બપોરનાં ટ્વિટ કરતા લખ્યું કે, 'કમેંટેટર્સે મને જણાવ્યું કે, ભારતે શ્રીલંકાનાં ખેલાડીઓને ધમકી આપી છે કે જો તેઓએ પાકિસ્તાન મુલાકાતથી ઇન્કાર નથી કર્યો તો તેઓને IPLથી બહાર કરી દેવામાં આવશે. આ જ કારણોસર શ્રીલંકાઇ ખેલાડી પાકિસ્તાનમાં આવીને રમવાથી ફરી ગયા.'
પાકિસ્તાની મંત્રીને વળતો જવાબ આપતા શ્રીલંકાનાં રમત મંત્રી હરિન ફર્નાડોએ ટ્વિટ કરીને લખ્યું કે,
'આ વાતમાં કોઇ જ શંકા નથી કે, ભારતને કારણે શ્રીલંકાનાં ખેલાડીઓએ પાકિસ્તાનમાં રમવાની ના કહી છે. તેઓએ આગળ જણાવ્યું કે, કેટલાંક ખેલાડીઓએ 2009માં થયેલી ઘટનાને કારણે જવાથી ના કહી છે. અમે ખેલાડીઓનાં આ નિર્ણયનું સમ્માન કરીએ છીએ. આ સાથે જ અમે એવાં ખેલાડીઓની ટીમ પસંદ કરીશું કે જે પાકિસ્તાન જવા તૈયાર હોય. અમારી પાસે ફુલ સ્ટ્રેંથ ટીમ છે અને આમા આશા રાખીએ છીએ કે પાકિસ્તાનને પાકિસ્તાનમાં જ હરાવીશું.'
આ 10 ખેલાડીઓએ કહી હતી ના
શ્રીલંકાનાં ખેલાડીઓએ 27 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી 6 મેચોની સીમિત ઓવરોની સીરીઝમાંથી 10 ખેલાડીઓએ હટવાનો નિર્ણય કર્યો છે. જેમાં ટી-20 ટીમનો કેપ્ટન લસિથ મલિંગા સિવાય એન્જેલો મેથ્યુઝ, નિરોશન ડિકવેલા, કુશલ પરેરા, ધનંજય ડી સિલ્વા, થિસારા પરેરા, અકિલા ધનંજય, સુરંગા લકમલ, દિનેશ ચાંડીમલ અને દિમુથ કરૂણારત્ને શામેલ છે.