રિસાઇને પિયર આવેલી પત્નિને લેવા આવનાર પતિને પત્નીએ જ સળગાવી દેવાનો પ્રયાસ કર્યો. સાળાએ બહેનોઇ પર કેસોસીન છાંટ્યું. પત્નીએ જ પતિને દિવાસળી ચાંપી હતી. પોલીસે પત્ની સહિત 4 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
પત્નીએ માતા અને ભાઇ-ભાભી સાથે મળી પતિને ઢોર માર માર્યો
સુરેન્દ્રનગરમાં રહેતા 35 વર્ષીય મેહુલભાઇ છોટાભાઇ રાઠોડ 6 મહિના પહેલા રિસાઇને પિયર આવેલી પત્નીને મનાવવા માટે ઘાટલોડિયા આવ્યા હતાં. ત્યારે તેના પત્ની, સાસુ, સાળો અને સાળાની પત્નીએ ભેગા મળી મેહુલ સાથે ઝઘડો કર્યો હતો. તેમજ મેહુલ બાથરુમ કરવા અંદર ગયો ત્યાં તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
કેમ રિસાઇ હતી પત્ની
મેહુલના લગ્ન કિંજલ સાથે થયા હતાં. લગ્નજીવન દરમિયાન તેઓએ એક સંતાનના માતા પિતા બન્યાં હતાં. તેમનો દિકરો 5 વર્ષનો થયો હતો. મેહુલને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હાવાની શંકાનાં આધારે કિંજલે તેની સાથે ઝઘડો કર્યો હતો અને રિસાઇને પિયર આવી ગઇ હતી. એ બાદ મેહુલના ભાઇ ભાભીએ તેમની વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
સમાધાન બાદ એવું તો શું થયું
ઝઘડમાં સમાધાન બાદ કિંજલ મારી તબિયત ખરાબ છે એમ કહી પિયર રોકાઇ અને જ્યારે મેહુલ તેને લેવા માટે ગયો ત્યારે કિંજલના પરિવારજનોએ ભેગા થઇને તેની સાથે ઝઘડો કર્યો હતો. તેમજ કિંજલે પણ તેની સાથે નહી આવવા માટે જીદ પકડી હતી. તેવામાં મેહુલ બાથરુમ કરવા ગયો હતો. બાથરુમનો દરવાજો પુરો બંધ થયો ન હોય ત્યાં જ કિંજલના ભાઇએ મેહુલ પર કેરોસીન છાંટી દીધું હતું. જ્યારે કિંજલે પતિને દિવાસળી ચાંપી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયો
મેહુંલ બેભાન થઇ ગયો હતો. તેને બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતાં. જેઓએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પોલીસે મેહુલની પત્ની કિંજલ, સાસુ મીતાબહેન, સાળો ગ્રીનિજ અને સાળાની પત્ની કોમલ વિરુદ્ધમાં હત્યાના પ્રયાસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.