નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને આ વર્ષે 9 MAFના સ્થાને 11.27 MAF પાણીની ફાળવણી કરવામાં આવી છે તેમજ બટાટા-ડુંગળીના ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે અંગે રાજ્ય સરકાર વિચારણા કરશે તેમ પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
ખેડૂતોને ઉનાળામાં પાક વાવેતર માટે 2.27 મિલીયન એકર ફીટ વધારાનું પાણી મળશે
'મહારાષ્ટ્ર- રાજસ્થાનથી ડુંગળીનો પાક બજારમાં આવતા ભાવમાં વધ-ઘટ થાય છે'
'ડુંગળી-બટાટાના યોગ્ય ભાવ મળે તે બાબતે રાજ્ય સરકાર વિચારણા કરશે'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠકના બ્રિફિંગમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી મળશે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને દર વર્ષે ફાળવણી થતા 9 MAF પાણીના સ્થાને કુલ 11.27 મિલયન એકર ફીટ પાણીની ફાળવણી કરી છે. જેના પરિણામે આ વર્ષે ગુજરાતના ખેડૂતોના ભાગે વધારાનું પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ બનશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે રાજ્યના જે ડેમોમા જૂથ યોજાનાઓ છે ત્યાં નર્મદા સિવાયનું પણ પાણી આપવામાં આવશે. જેના પરિણામે આ વર્ષે રાજ્યના ખેડૂતોને વાવેતરમાં વધુ સરળતા રહેશે તેવું મંત્રીએ ઉમેર્યુ હતુ. રાજ્યમાં આ વર્ષે પણ ઉનાળામાં પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
પ્રક્તામંત્રીનું ડુંગળીને લઈ નિવેદન
ગુજરાતમાં ડુંગળી પકવતાં ખેડૂતોને યોગ્ય ભાવ-સહાય સમયસર મળી રહે તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરશે તેમ કેબિનેટ બેઠક બાદ મીડિયાને વિગતો આપતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, મે માસમાં સંગ્રહ થયેલી ડુંગળીનો ઓક્ટોબર- નવેમ્બર મહિનામાં વપરાશ થઈ જતાં તેમજ મહારાષ્ટ્ર- રાજસ્થાનથી ડુંગળીનો ખરીફ પાક બજારમાં આવતા ભાવમાં વધઘટ થાય છે જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. રાજયમાં ડુંગળી પકવતા મુખ્ય જિલ્લાઓમાં ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી વગેરેનો સમાવેશ થાય છે. ખરીફ, લેટ ખરીફ તથા રવી ઋતુ દરમ્યાન ઓક્ટોમ્બરથી ફેબ્રુઆરીમાં સારા બજારભાવ મળતાં હોવાથી લીલી ડુંગળીનું પણ વેચાણ થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
'ટૂંક સમયમાં યોગ્ય ભાવ અંગે હકારાત્મક નિર્ણય કરશે'
મંત્રી શ્રી કહ્યું હતું કે, ગુજરાતમાં ડુંગળીના પાકનું છેલ્લા પાંચ વર્ષમાં પ્રતિવર્ષ સરેરાશ વાવેતર વિસ્તાર 64,646 હેકટર છે. જ્યારે ગુજરાતમાં ચાલુ વર્ષ 2022-23માં અંદાજિત વાવેતર 69,779 હેક્ટર જેટલું થયું છે જેમાંથી અંદાજિત 17.36લાખ મે.ટન જેટલું ઉત્પાદન મળવાની શક્યતા છે. રાજ્યમાં ખેડૂતો દ્વારા ડુંગળીનું વેચાણ મુખ્યત્વે મહુવા, ભાવનગર, રાજકોટ અને ગોંડલ એ.પી.એમ.સી.માં થાય છે. હાલમાં સરેરાશ લાલ ડુંગળીના વેચાણ ભાવ ખેડૂતોને એકંદરે રૂા.5/- પ્રતિ કિલો મળે છે જે ઉત્પાદન ખર્ચ કરતાં ઓછો હોવાથી સરકાર ખેડૂતોને નુક્સાન ન જાય તે માટે ટૂંક સમયમાં યોગ્ય ભાવ અંગે હકારાત્મક નિર્ણય કરશે તેમ મંત્રી પટેલે જણાવ્યું હતું.
'બટાટાની બજારમાં આવક જાન્યુઆરી થી માર્ચ માસ સુધી ચાલુ રહેશે'
તેમણે કહ્યું હતું કે, રાજયમાં બટાટા પકવતાં મુખ્ય જિલ્લાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને ખેડાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં બટાટા પાકનું વાવેતર ઓક્ટોમ્બરથી ડિસેમ્બર માસ દરમ્યાન થાય છે જેમાં નવેમ્બર માસ મુખ્ય છે. બટાટાની બજારમાં આવક જાન્યુઆરી થી માર્ચ માસ સુધી ચાલુ રહેશે. જેમાંથી અંદાજીત જાન્યુઆરી માસમાં (15% કચિયારૂ) બટાટાની આવક બજારમાં આવવા લાગે છે જ્યારે કુલ આવકના લગભગ 75% આવક ફેબ્રુઆરી માસમાં અને માર્ચ માસમાં બાકી રહેતી 10% આવક બજારમાં આવે છે તેમ મંત્રી પટેલે ઉમેર્યું હતું.
'હવામાન અનુકુળ રહેતાં ઉત્પાદનમાં વધારો થયો છે'
પ્રવક્તા મંત્રી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્યના કોલ્ડ સ્ટોરેજોની સંગ્રહ ક્ષમતા અંદાજે 28.56 લાખ મે.ટનની છે. જ્યારે બટાટાની હાલની પરિસ્થિતિ મુજબ બટાટા પાકનો છેલ્લા પાંચ વર્ષનો સરેરાશ વાવેતર વિસ્તાર 1,25,000 હેકટર છે. ચાલુ વર્ષે જોતા અંદાજિત 1,31,432 હેક્ટર બટાટા પાકનું બમ્પર વાવેતર થયું છે, જેમાંથી અંદાજિત 40.26 લાખ મે.ટન જેટલું ઉત્પાદન મળેલ છે. જે પૈકી 27.23 લાખ મેટ્રિક ટન બટાટા કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરાયા છે. ચાલુ વર્ષે બટાટામાં વાવેતર વિસ્તાર વધતા અને હવામાન અનુકુળ રહેતાં ઉત્પાદનમાં વધારો થયો છે.