હનુમાનજી એટલે ભક્તોના આરાધ્ય દેવ. હનુમાનજીનું મંદિર જોતાં જ ગમે તેટલો નાસ્તિક પણ મનોમન નમન તો કરી જ દે છે. ગમે તેવું પ્રબળ સંકટ હોય તો પણ હનુમાનજીને શરણે જનારાનું સંકટ ટળી જાય છે. આથી ભક્તો તેમને સંકટમોચન હનુમાનજી તરીકે ઓળખે છે. આખા ભારતના લગભગ દરેક ગામમાં હનુમાનજીનું નાનું મોટું મંદિર અવશ્ય હોય જ છે. નાનાં નાનાં ગામમાં તો ભાગોળે હનુમાનજીનું મંદિર હોય છે જ. વાત આજે આપણે કરવાની છે ચાંદખેડાના જનતાનગરમાં આવેલા જય વીર ઝંડ હનુમાનજીના મંદિરની.
અમદાવાદના ચાંદખેડામાં જાણીતું છે આ મંદિર
જય વીર ઝંડ હનુમાનજીના મંદિરની અનોખી છે વાત
જાંબુઘોડાના મંદિરથી ભક્તને મળી હતી પ્રેરણા
પાવાગઢથી ૪૦ કિલોમીટર દૂર જાંબુઘોડા અભયારણ્યમાં ઝંડ વીર હનુમાનજીનું વિશાળ મંદિર આવેલું છે. ત્યાંના સ્થાનિક આદિવાસીઓના કહેવા મુજબ આ મંદિર ૪૦૦ વર્ષ જૂનું છે.
બીજા કેટલાકના કહેવા પ્રમાણે હનુમાનજીની આ મૂર્તિ મહાભારત કાળમાં પાંડુશ્રેષ્ઠ ભીમે સ્થાપી હતી. તે પછી નામ તેનો નાશ કહેવત મુજબ હનુમાનજીની મૂર્તિ સિવાયના આજુબાજુના સ્થળનું કેટલીય વખત સર્જન વિસર્જન થયું, હનુમાનજીની મૂર્તિ આજે પણ તેવી ને તેવી જ છે.
જાંબુઘોડાના મંદિરથી મળી પ્રેરણા
ચાંદખેડાના ભક્તોના જણાવ્યા મુજબ અહીં લોકો વખતોવખત જતા. એક વખત જનતાનગરના એક હનુમાન ભક્ત જાંબુઘોડા ગયા. તેમને હનુમાનજીની આ મૂર્તિ ખૂબ ગમી ગઇ. તેમણે મનોમન નક્કી કરી લીધું કે આવું જ એક મંદિર મારે ચાંદખેડા જનતાનગરમાં બનાવવું છે. બીજા અનેક ભક્તોને લઇને તેઓ ફરીથી જાંબુઘોડા ગયા. તેમણે તેમને આ મંદિર બતાવ્યું અને જણાવ્યું કે આપણે જનતાનગરમાં આવું એક મંદિર બનાવીએ. ભક્તો તરત સંમત થઇ ગયા.
આ રીતે થયું છે મંદિરનું બાંધકામ
હનુમાનજીની મૂર્તિ તેમણે અમદાવાદમાંથી લીધી. થોડો ફાળો ઉઘરાવ્યો અને મંદિરનું બાંધકામ ચાલુ કર્યું. કહેવાય છે કે જાંબુઘોડા અભયારણ્યમાં શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુને પાતાળમાં તીર મારીને પાતાળ ગંગા પ્રગટ કરી. આજે પણ ત્યાં પાણીની તંગી પડતી નથી. આ પાતાળ ગંગામાંથી અવિરત પાણી વહ્યા કરે છે. એક વખત જાંબુઘોડાના હનુમાનજીના દર્શન કરનારને અહીં દરરોજ આવવાનું મન થાય છે.
મંગળવાર અને શનિવારે રહે છે મંદિરમાં ભીડ
ચાંદખેડા જનતાનગરના પ્રવેશદ્વારમાં જ જય વીર ઝંડ હનુમાનજીનું મંદિર છે. મંદિરના પ્રવેશદ્વારમાં જમણી બાજુ ગણેશજી તથા ડાબી બાજુ કાળભૈરવ દાદા છે. મંદિરના પ્રવેશદ્વારની ડાબા હાથે સંભવનાથ જૈન દેરાસર છે. જમણે હાથે શનિદેવનું ખૂબ સુંદર મંદિર છે. કહેવાય છે કે શનિદેવ ન્યાયના દેવતા છે. તેઓ ક્યાંય અનિષ્ટ થવા દેતા નથી. વીર ઝંડ હનુમાનજીના મંદિરમાં સવાર સાંજ આરતી ટાણે ખૂબ ભક્તો ઊમટી પડે છે. આ મંદિરમાં દર શનિવારે સુંદરકાંડનો પાઠ કેતન કામલેની વ્યાસપીઠે થાય છે આ મંદિર થોડા સમય પહેલાં જ બન્યું છે, પરંતુ ભક્તોમાં તેની ગજબની આસ્થા વધી ગઈ છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે હનુમાનજીના મંદિરમાં શનિવાર, મંગળવાર ભીડ વધુ હોય, પરંતુ અહીં તો દરરોજ ખૂબ જ ભીડ જામે છે. સવાર-સાંજની આરતીના સમયે પગ મુકવાની જગ્યા હોતી નથી.