શાસ્ત્રમાં કહ્યું છે કે દર્ભ વિનાની ધાર્મિક ક્રિયા, જળ વિનાનું દાન, સંખ્યાની ગણતરી વગરનો જપ નિષ્ફળ જાય છે માટે માળા કરવાથી જાપની ગણતરી સહેજે થાય છે. પ્રત્યેક ધર્મોમાં નામ જપનું આગવું માહાત્મ્ય છે અને તે માટે માળા એ શ્રેષ્ઠ માધ્યમ છે. સાધકો માટે માળા એ એક મહત્ત્વનું માધ્યમ છે.
જપ માટે માળાનું છે ખાસ મહત્વ
ગૌમુખીમાં માળાજાપ કરવાથી મળે છે ખાસ પુણ્ય
આ કારણે માળામાં હોય છે 108 મણકા
સાધકો માટે માળા એ એક મહત્ત્વનું માધ્યમ છે. માળા એ ભગવદ્ સ્મરણ અને નામ-જપમાં ખૂબ જ સહાયક બને છે માટે જ સાધક તેને પ્રાણ સમાન પ્રિય સમજે છે. આપણે જે જાપ કરીએ તેની ગણતરી પણ કરવી એ આવશ્યક છે. જેથી આપણને ખબર પડે કે આપણાથી આજે કેટલા જાપ થયા. આ તો માનવીનું મન છે. એક દિવસ મૂડ હોય તો વધારે કરે અને બીજા દિવસે મૂડ ના હોય તો ઓછા કરે. જે કાંઇ ભક્તિ કરીએ તે નિયમિતતાપૂર્વક કરીએ તો જ તે લાંબા સમય સુધી ચાલે છે અને યથાર્થ ફળદાયી થાય છે.
108 મણકા પાછળ છે આ ગણિત
આપણે જે માળા કરીએ છીએ તેમાં ૧૦૮ મણકા હોય છે. ઘણાને પ્રશ્ન થાય છે કે આ માળામાં ૧૦૮ મણકા જ કેમ હોય છે? તો તેની પાછળનું કારણ એવું છે કે પ્રત્યેક પળમાં મનુષ્યના સ્વાભાવિક શ્વાસ ૬ લેવાય છે. આવી અઢી પળની એક મિનિટ થાય. આવી એક મિનિટમાં ૧૫ શ્વાસ લેવાય છે. આ હિસાબ અનુસાર ૨૪ કલાકમાં આપણા ૨૧,૬૦૦ શ્વાસ શાસ્ત્રમાં ગણાવાયા છે. આમ, રાત્રિના ૧૨ કલાક બાદ કરતાં દિવસના ૧૨ કલાકમાં આપણે ૧૦,૮૦૦ શ્વાસ લઇએ છીએ. ખરા ભક્તને તો સ્વાભાવિકપણે શ્વાસે શ્વાસે ભગવાનનું નામ લેવાની ઇચ્છા રહે, પરંતુ આટલી વિશાળ સંખ્યામાં જાપનો અવકાશ ન રહે તે માટે જો વિધિવત્ ઉપાંશુ જપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રનું ૧૦૦ ગણું ફળ થા-એ શાસ્ત્રોક્ત વિધાન અનુસાર દિવસમાં ૧૦૮ મંત્રોનો જપ થવો જોઇએ, તેવું સ્વીકારવામાં આવ્યું છે.
૨૭ નક્ષત્રોનાં મળીને કુલ ૧૦૮ ચરણ થાય માટે માળાની સંખ્યા પણ 108ની
મનુસ્મૃતિમાં કહ્યું છે કે, આમ, ૧૦૮ મણકાની એક માળા ફેરવવાથી શ્વાસે શ્વાસે ભજન કર્યું ગણાય એ ભાવનાથી માળાના મણકાની સંખ્યા ૧૦૮ રાખવામાં આવી. આ રીતે એક માળા ફેરવવી એ શ્વાસોશ્વાસે ભજન કરવાનું પહેલું પગથિયું છે. બીજા મત અનુસાર એવું પણ માનવામાં આવે છે કે માનવજીવન પર સૂર્યની અસર ઘણી નોંધનીય છે. સૂર્ય-ચંદ્રને આધારે પૃથ્વી પર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકે ૨૭ વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને નક્ષત્ર સંજ્ઞા આપી છે. આ નક્ષત્રમાળના આધારે આપણી જપમાળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રને ચાર ચરણ હોય છે. આથી ૨૭ નક્ષત્રોનાં મળીને કુલ ૧૦૮ ચરણ થાય છે. તેથી માળાના મણકાની સંખ્યા પણ ૧૦૮ રાખવામાં આવી છે.
સુમેરુનો અર્થ
વળી, આપણે જે માળા ફેરવીએ છીએ તેની વચ્ચે એક સુમેરુ આવે છે. તો માળા ફેરવનારને એમ થાય કે વળી આ સુમેરુ શું છે? અને તેને ઉલંઘવાની કેમ ના પાડવામાં આવે છે? તો શાસ્ત્રોમાં તે અંગે એવું માનવામાં આવ્યું છે કે બ્રહ્માંડની નક્ષત્રમાળમાં જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને સુમેરુ પર્વતના નામથી ઓળખવામાં આવે છે. નક્ષત્રોની ગતિ પૂર્વથી પશ્ચિમ પ્રતિ છે. કારણ કે પૃથ્વી તેની ઉત્તર દક્ષિણીય ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. આથી કોઇ પણ નક્ષત્ર દક્ષિણીય ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. આથી કોઇ પણ નક્ષત્ર દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરતું દેખાતું નથી. આથી ઉત્તર ધ્રુવના સ્થાને આવેલ સુમેરુ પર્વતને કોઇ ઓળંગી શકતું નથી. કોઇ ઓળંગતું પણ નથી.
સુમેરુનું છે આ મહત્વ
સૌ કોઇ સુમેરુની મર્યાદા જાળવે છે. આ જ પ્રમાણે જપમાળાના બંને છેડા જ્યાં મળે છે તેને કેન્દ્ર સમું મહત્ત્વનું સ્થાન ગણવામાં આવે છે. તે સ્થાને આવતા સર્વોચ્ચ મણકાને પણ સુમેરુ કહેવામાં આવે છે. નક્ષત્રો સુમેરુને કેન્દ્રમાં રાખી ફરે છે. સુમેરુ સ્થિર છે. માળા નક્ષત્રમાળાનું રૂપક છે. આથી તેમાં રહેલ સુમેરુનું પણ એવું માહાત્મ્ય સ્વીકારી, ભક્ત તે સુમેરુનો સ્પર્શ કરી, માળાની દિશા ફેરવી મંત્ર જાપ પુનઃ શરૂ કરે છે. એટલે કે માળા પૂર્ણ થયા પછી સુમેરુ આવતાં, તેને ઓળંગ્યા વિના માળાને ઊલટાવીને ફેરવવામાં આવે છે.