અસુરોના ગુરુ, રાજા અને પરમ પ્રેમાસ્પદ પૂજનીય આશ્રિત, મૃત સંજીવની વિદ્યાના તત્કાલીન એકમાત્ર પરમ નિષ્ણાત મનાતા, મહાપુરુષ શુક્રાચાર્યની સુપુત્રી દેવયાની. એ બંનેની વચ્ચે વિરોધ થયો. બંનેમાં મન એકાએક ઊંચાં થયાં. એનું કારણ સાધારણ હતું. બહારથી જોતાં સાધારણ પરંતુ અંદરથી અવલોકતાં અસાધારણ. શર્મિષ્ઠા તથા દેવયાની પોતાની સ્નેહાળ સૌન્દર્યસંપુટ સરખી સખીઓ સાથે સમીપવર્તી વનમાં વિહરવા માટે નીકળેલી. અને પછી થયું એવું કે....
શર્મિષ્ઠા અને દેવયાની બંને સખીઓની વાર્તા
આ કારણે શુક્રાચાર્ય દેવયાનીથી થયા હતા દુઃખી
આ કારણે શર્મિષ્ઠાએ માગણીને માન્ય રાખી
આ રીતે બદલાઈ ગયા શર્મિષ્ઠા અને દેવયાનીના વસ્ત્રો
અતિશય આકર્ષક, સુંદર, એકાંત વનમાં જળક્રીડા કરીને તે સર્વે સુકુમારીઓ પોતાની જાતને પરમ સુખી અને બડભાગી માનતી બહાર નીકળીને વસ્ત્રોને શોધીને બનતી વહેલી તકે પહેરવા લાગી. દેવરાજ ઇન્દ્રે વાયુરૂપ બનીને તેમનાં વસ્ત્રોને એકઠાં અને અવ્યવસ્થિત કરી દીધેલાં. રાજા વૃષપર્વાની સુપુત્રી શર્મિષ્ઠાએ ઉતાવળમાં અને અજ્ઞાનને લીધે ભૂલમાં દેવયાનીનાં વસ્ત્રોને પહેરી લીધાં.
વાત દેખીતી રીતે નાની હતી તોપણ તેણે ઘણું મોટું સ્વરૂપ ધારણ કર્યું. દેવયાનીએ શર્મિષ્ઠાને પોતાનાં વસ્ત્રોને પહેરવા માટે, એના એવા અશિષ્ટાચાર બદલ ઠપકો આપ્યો તો શર્મિષ્ઠા પણ ક્રોધે ભરાઇને અનુચિત વચનોને વદવા માંડી. પછી શર્મિષ્ઠાએ આગળ વધીને દાઝયા પર ડામ દેતી હોય તેમ વસ્ત્ર વિનાની દેવયાનીને પાસેના કૂવામાં નાખી દીધી, અને દેવયાનીને મરેલી માનીને ક્રોધાગ્નિમાં સળગતાં અન્ય સખીઓ સાથે નગર તરફ પ્રયાણ કર્યું. એને માટે એને લેશપણ પશ્ચાતાપ ના થયો એ આશ્ચર્યકારક કહેવાય. કૂવો પાણી વગરનો હોવાથી દેવયાની દૈવેચ્છાથી બચી ગઇ છે એની એને ખબર નહોતી. કૂવામાં ક્રોધાતુર શર્મિષ્ઠા દ્વારા પાડી દેવાની પ્રક્રિયા દેવયાનીને માટે આશીર્વાદરૂપ થઇ. વિભુના વરદાનરૂપ નહુષ પુત્ર રાજા યયાતિ મૃગયાની ઇચ્છાથી પ્રેરાઇને એ વનમાં પ્રવેશ્યો ને પાણીની શોધ કરવા માંડ્યો ત્યારે એણે દેવયાનીને જોઇ. એણે એની માહિતી માગી ત્યારે દેવયાનીએ પોતાનો ને પોતાના પિતાનો પરિચય પ્રદાન કરીને પોતાને કૂવામાંથી બહાર કાઢવાની પ્રાર્થના કરી. રાજા યયાતિએ એની પ્રાર્થનાને અનુલક્ષીને એને કરુણા કરીને કૂવામાંથી બહાર કાઢીને પોતાના નગર પ્રતિ પ્રયાણ કર્યું. દેવયાનીએ પોતાની પાસે પહોંચેલી ધૂર્ણિકા નામની દાસીને પોતાના પિતા પાસે મોકલીને જણાવ્યું કે હું વૃષપર્વાના નગરમાં નહિ આવું.
આ કારણે શુક્રાચાર્ય થયા હતા દુઃખી
ધૂર્ણિકાએ રાજા વૃષપર્વાના નગરમાં રહેતા શુક્રાચાર્યને દેવયાનીની સઘળી કથા કહી સંભળાવી. એ સાંભળીને શુક્રાચાર્ય ખૂબ જ દુઃખી થયા ને પોતાની સુપુત્રીને શોધવા વનમાં ગયા. એમણે એના સંતપ્ત અંતરને આશ્વાસન આપીને શાંત કરતાં કહ્યું કે "દેવયાની, તું સ્તુતિ કરનારની, ભિક્ષુકની કે દાન લેનારની પુત્રી નથી. પ્રશસ્તિ ના કરનારા પરંતુ પ્રશસ્તિ પામનારા પિતાની પુત્રી છે. વૃષપર્વા, ઇન્દ્ર અને નહુષ પુત્ર યયાતિ સૌને તેની માહિતી છે. આ ભૂમિમાં કે સ્વર્ગલોકમાં જે કાંઇ છે તે સર્વનો હું સદાનો અધીશ્વર છું. હું જ પ્રજાના પરમહિતની ઇચ્છાથી જલધારાને છોડું છું. હું જ સઘળી ઔષધિઓને પોષું છું."
આ કારણે શર્મિષ્ઠાએ માગણીને માન્ય રાખી
શુક્રચાર્યે પોતાની પુત્રી દેવયાની સાથે શર્મિષ્ઠા દ્વારા કરાયેલા દુર્વ્યવહારને માટે વૃષપર્વાને ઠપકો આપીને એના રાજ્યને ત્યાગવાની તૈયારી દર્શાવી ત્યારે વ્યથિત રાજાએ એમની પોતાની રીતે પ્રશંસા કરીને માફી માગી. શુક્રાચાર્યે એને દેવયાનીને પ્રસન્ન કરવા જણાવ્યું એટલે એ દેવયાની પાસે પહોંચ્યો. દેવયાનીએ કહ્યું કે મારા પરમ પૂજ્ય પિતા મને જ્યાં પણ આજ્ઞા આપે ત્યાં શર્મિષ્ઠા મને સહસ્ત્ર કન્યાઓ સાથે દાસી થઇને અનુસરે. વૃષપર્વાના કહેવાથી શર્મિષ્ઠાએ દેવયાનીની એ માગણીને માન્ય રાખી.