ચેન્નાઈમાં રમાનાર બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર થવાની શક્યતા છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની પહેલી ટેસ્ટમાં નિરાશાજનક પ્રદર્શનને લીધે ઝારખંડનાં સ્પિનર શાહબાઝ નદીમને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે.
શાહબાઝ નદીમનાં કંગાળ પ્રદર્શનને લીધે ટીમમાંથી બહાર થઈ શકે છે
પહેલી ટેસ્ટમાં નદીમે 59 ઓવરમાં 233 રન આપ્યા હતા
બીજી ટેસ્ટ માટે અશ્વિન ફિટ છે
ટીમને જરુર છે એક સારા સ્પિન બોલરની
નદીમનાં વિકલ્પ પર નિર્ણય લેવા અંગે શુક્રવારે અંતિમ નિર્ણય લેવાશે પણ એ વાત નક્કી જાણવા મળી રહી છે કે ઈજામાંથી ફિટ થઈ ચૂકેલા અક્ષર પટેલ નદીમની જગ્યા લેશે. મંગળવારે સમાપ્ત થયેલ પહેલી ટેસ્ટમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ટીમને વધુ એક સારો સ્પિન બોલર જોઈએ છે જેનાં વિકલ્પ સ્વરુપે અક્ષર પટેલ પર આખરી પસંદગી આવી શકે તેવી પૂરી શક્યતા જણાઈ રહી છે.
આ પ્લેયરે કરી બેટીંગ પ્રેક્ટિસ શરુ
ભારતીય ક્રિકેટ બોર્ડમાંથી મળતી વિગત અનુસાર અક્ષર પટેલને ઘૂંટણાં નાની ઈજા થઈ હતી જેમાંથી તેને રાહત મળી ગઈ છે અને હાલ તે નેટ પર બેટીંગ પ્રેક્ટિસ શરુ કરી ચૂક્યો છે. આગામી દિવસોમાં તેની બોલિંગની પણ પ્રેક્ટિસ શરુ થઈ જવાની આશા છે. પહેલી ટેસ્ટમાં રમાડવા માટે અક્ષર પટેલ પ્રથમ પસંદ હતો પણ હવે આગામી નિર્ણય કેપ્ટન વિરાટ કોહલી, મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણ પર નિર્ભર કરશે.
કોહલીએ નદીમનાં પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરી
કોહલીએ પહેલી મેચની હાર બાદ નદીમનાં કંગાળ પ્રદર્શન પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને મેચ બાદ પુરસ્કાર વિતરણ સમારોહ દરમિયાન કહ્યું હતું કે, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને રવિચંદ્રન અશ્વિને જે દબાણ બનાવ્યું હતું તેને નદીમ અને વોશિંગ્ટન સુંદર જાળવી ના શક્યા. નદીમે મેચમાં 4 વિકેટ લીધી પણ સામે 59 ઓવરમાં 233 રન આપ્યા. સાથે સાથે સ્પિનર હોવા છતા તેણે 9 નો બોલ પણ ફેકી. જે અંગે નદીમે ખુદ સ્વીકાર્યુ કે બોલિંગ કરતી વખતે તેને ક્રીઝ પર કુદવામાં ટાઈમિંગમાં કંઈક તકલીફ પડી રહી હતી જેનાં પર તે સુધાર કરશે.
વોશિંગ્ટન સુંદરને મળી શકે છે બીજી તક
બીજી તરફ વોશિંગ્ટન સુંદરે પહેલી ઈનિંગમાં 26 ઓવરમાં 98 રન આપ્યા જ્યારે બીજી ઈનિંગમાં તેને એક જ ઓવર નાંખવા મળી હતી. જોકે તેણે પહેલી ઈનિંગમાં શાનદાર બેટીંગ કરી હતી. જેથી તેને બીજી ટેસ્ટમાં પણ જગ્યા મળે તેવી પૂરી શક્યતાઓ છે. જ્યારે ભારતીય પ્રશંસકો માટે શુભ સમાચાર છે કે ભારતની બીજી ઈનિંગમાં જોફ્રા આર્ચરનો બોલ વાગ્યા બાદ પણ અશ્વિન ફિટ છે જેથી તે બીજી મેચમાં પણ રમી શકશે.