લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલાં એક્ઝિટ પોલનાં મોટા ભાગનાં પરિણામમાં દેશમાં ભગવો લહેરાવાનાં અનુમાનો વચ્ચે સટ્ટાબજાર પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મહેરબાન છે. એક્ઝિટ પોલનાં પરિણામની જેમ સટ્ટાબજારમાં પણ લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએની જીત ગણાવવામાં આવે છે.
મુંબઇને છોડીને મોટા ભાગની જગ્યાના સટ્ટાબાજો એક્ઝિટ પોલની તુલનામાં થોડી ઓછી સીટ આપી રહ્યા છે. સાત તબક્કામાં પૂરી થયેલી લોકસભા ચૂંટણીમાં ઘણાં શહેરોનાં સટ્ટાબજાર ભાજપને ૨૩૮થી ૨૪૫ બેઠકો આપી રહ્યાં છે. રાજસ્થાનના સટ્ટાબાજ ભાજપને ૨૪૨થી ૨૪૫ બેઠકો આપે છે, જ્યારે દિલ્હીના સટ્ટાબજારમાં આ સંખ્યા ૨૩૮થી ૨૪૧ છે.
મુંબઇમાં સટોડિયાઓ એનડીએ સાથે ઊભા છે. તેમનું માનવું છે કે ભાજપ-એનડીએ સરળતાથી ૩૦૦નો જાદુઇ આંકડો પાર કરી શકે છે, જ્યારે ૫૪૩ સભ્યવાળી લોકસભામાં જીત માટે ૨૭૨ બેઠકની જરૂર છે. સટ્ટાબજારમાં સટોડિયાઓ અન્ય પક્ષોની જીત અને બીજેપીને બહુમતી નહીં મળવા પર પણ પૈસા લગાવી રહ્યા છે.
મુંબઇના સટોડિયાઓના જણાવ્યા મુજબ કોંગ્રેસના નેતૃત્વમાં મહાગઠબંધન ૧૫૦ બેઠક સાથે એનડીએથી પાછળ રહી શકે છે. બાકી બચેલી સીટો અન્ય પક્ષોને મળશે એટલું જ નહીં, દેશના બિઝનેસમેનમાં પણ મોદીને વધુ સમર્થન મળતું દેખાય છે.
મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપને એકલા બહુમતીની નજીક બતાવાયું છે. સટ્ટાબજારમાં આ આંકડો થોડો ઓછો છે, પરંતુ એનડીએને પૂર્ણ બહુમતી મળી રહી છે. સી-વોટરના એક્ઝિટ પોલમાં ભાજપને ૨૩૬ બેઠક મળવાનું અનુમાન છે. તે સટ્ટાબજારના આકલનની નજીક છે. એટલું જ નહીં, કેટલાક સટ્ટાબાજ એનડીએની હાર પર પણ પૈસા લગાવી રહ્યા છે.