રાજયમાં આગામી 25મી જુલાઈએ વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પ યોજાશે, 31 જુલાઈ સુધી તમામ સેવાકીય સંસ્થા અને વેપારીઓએ રસી લેવી ફરજીયાત
વેપારી અને સેવાકીય સંસ્થાના કર્મચારી માટે વેક્સિનેશન કેમ્પ
31મી જુલાઈ સુધી વેક્સિન લેવી ફરજિયાત
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરાઈ મહત્વની જાહેરાત
ગુજરાતમાં વેપારીઓ અને સેવાકીય સંસ્થાના કર્મચારી માટે વેક્સિન ફરજીયાત લેવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. આ તારીખ સુધી ગુજરાતના તમામ વેપારીઓ વેક્સિન લઈ લે તેના માટે સરકારે ખાસ કેમ્પનું આયોજન કર્યું છે. આગામી 25મી જુલાઈના દિવસે ગુજરાતમાં વેપારીઓ અને સેવાકીય સંસ્થાના કર્મચારીઓ માટે કેમ્પના આયોજન કરાયા છે. જો કે, ગુજરાતમાં બુધવારે મમતા દિવસ અને રવિવારે આરોગ્ય કર્મચારીઓની રજાના કારણે વેક્સિનેશન બંધ કરાયું છે. ત્યારે એકમાત્ર 25મી જુલાઈને રવિવારે વેક્સિનેશન ચાલુ રહેશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યું છે. ત્યારે રાજય સરકાર દ્વારા વેકસિનેશનને ખાસ પ્રાધાન્ય આપીને સમય બદ્ધ આયોજન કર્યું છે. જેના પરિણામે રાજયભરમાં અત્યાર સુધીમા ૩.૧ કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરી દેવાયા છે. અને દરરોજ ત્રણ લાખથી વધુ નાગરિકોને રસી આપવામાં આવે છે. આગામી તા.25 જુલાઈ, 2021ને રવિવારના રોજ રાજયભરમાં વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પનું આયોજન કરાયું છે. તો સૌ વેપારીઓ-કર્મચારીઓને મહત્તમ લાભ લેવા અપીલ છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સાથે જણાવ્યું, રાજય સરકારની અસરકારક કામગીરીને પરિણામે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને ઉત્તરોત્તર કેસોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. હવે છેલ્લા બે-ત્રણ દિવસથી 25થી નીચે કેસો નોધાય છે. રાજયમાં નાગરિકોના સહયોગથી સંક્રમણને રોકવામાં સફળતા મળી છે. ત્યારે આગામી સમયમાં પણ નાગરિકો આવોને આવો સહયોગ આપીને સંયમ રાખે અને કોરોનાના યોગ્ય પ્રોટોકોલ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અવશ્ય પહેરશું તો ચોકકસ આપણે ગુજરાતને કોરોના મુકત બનાવી શકીશુ.
રાજયમા સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે. ત્યારથી જ ધંધા રોજગાર પૂર્વવત થાય અને નાના લોકોને રોજગારી મળી રહે એ આશયથી રાજય સરકારે કોરોનાના પ્રોટોકોલના ચુસ્ત અમલ સાથે અનેક છૂટછાટો આપી છે. એવા સંજોગોમા વેપારીઓનો પણ સારો સહયોગ સાપડ્યો છે. ત્યારે નાના વેપારીઓ પણ આ રસીકરણ કેમ્પનો મહત્તમ લાભ લઈ પોતે અને ગ્રાહકોને પણ સુરક્ષિત રાખે એ જરૂરી છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં હાલ તા.૨૨.૦૭.૨૦૨૧ના રોજ 15 લાખ ૧૮ હજાર ૨૫૦ વેક્સીનના ડોઝ ઉપલબ્ધ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2 કરોડ 31 લાખ ૫૨ હજાર વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 70 લાખ 22 હજાર 571 વ્યક્તિઓને બીજો ડોઝ આમ બંને મળી કુલ ૩ કરોડ ૧ લાખ ૭૪ હજાર ૭૮૯ને વેક્સીનના ડોઝ આપી દેવાયા છે. ૧૮થી ૪૫ વર્ષની વયના ૩ કરોડ ૦૯ લાખ ૬૩ હજાર ૫૮૯ નાગરિકોને ભારત સરકારના સહયોગથી વિનામૂલ્યે વેક્સીન આપવાની થાય છે. તે પૈકી ૯૮ લાખ ૫૯ હજાર ૪૩૨ વ્યક્તિઓને વેક્સીન અપાઇ ચુકી છે.
ગુજરાતમાં વેપારી-હોટલ-સેવાકિય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર 31.07.2021 સુધીમાં વેક્સીન લેવાની જરૂરીયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં રસીકરણ થઇ જાય તે માટે તા.૨૫.૦૭.૨૦૨૧, રવિવારના રોજ સ્પેશ્યલ વેક્સીનેશન કેમ્પનું ૧૮૦૦ સેન્ટરો ઉપર આયોજન કરાયું છે. જેનો વેપારીઓ-કર્મચારીઓને લાભ લેવા અપીલ છે.