આગામી સમયમાં કેન્દ્ર સરકારનાં બજેટ બાદ, ગુજરાત સરકાર અને ત્યાર બાદ રાજ્યની મહાનગર પાલિકાના બજેટ આવશે. છેલ્લા બે વર્ષના કોરોના કાળમાં વિકાસના આડે આવેલા કામ અને તેના બજેટ ઉપરાંત લક્ષ્યપૂર્તિ પર તો મહા પાલિકા ધ્યાન આપશે જ.સાથોસાથ શહેરી વિકાસ, સાથે નગર સંરચના, નાગરિકોને પાયાની સુવિધાઓ ઉપરાંત સ્વચ્છતાનાં માપદંડનો પણ આગ્રહ રખાશે. સર્વાંગ સુખાય અને નાગરીકો પર કામની અસરકર્તાનું બજેટ આપવું એ પ્રાથમિકતા રહેશે. ત્યારે અમદાવાદ મહાપાલિકાએ હાલ પુરતી ટેક્સ વધારવાની મુદ્દત મુલતવી રાખી છે.
AMCની સ્ટેન્ડિંગની બેઠકમાં ટેક્સ વધારવાની દરખાસ્તને મુલતવી રખાઈ છે. કમિશનર દ્વારા ડોર ટુ ડોર યુઝર્સ ચાર્જીસ વધારવા રહેણાંક એકમોના પ્રતિદિન 1 રૂપિયાની જગ્યાએ 3 રૂપિયા અને કોમર્શિયલ એકમોના 2 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયા કરવા દરખાસ્ત કરાઈ હતી.
સ્વચ્છતા સેસના નામે ટેક્સ વધારાની દરખાસ્ત કરવામાં આવતા ભારે વિવાદ થયો હતો. આ દરખાસ્તને કારણે શહેરીજનો પર 280 કરોડનું ભારણ વધવાનું હતું. ત્યારે વિવાદ થતા વધુ અભ્યાસ માટે આ દરખાસ્તને સ્થગિત કરવામાં આવી છે. મહત્વનું છે કે 2018માં એએમસી દ્વારા ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે પ્રતિદિન રહેણાંક એકમો માટે 1 રૂપિયો અને કોમર્શિયલ એકમો માટે 2 રૂપિયા સ્વચ્છતા સેસ લગાવવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા પાંચ વર્ષથી કોઈ વધારો કરવામાં નથી આવ્યો. ત્યારે આ વર્ષે સ્વચ્છતા સેસમાં બે ગણો વધારો કરવા દરખાસ્ત કરવામાં આવી હતી.
મહાપાલિકાના બજેટમાં અમદાવાદ શું કરશે ?
અમદાવાદ મનપાનુ બજેટ રજૂ કરવામાં આવશે. વર્ષ 2022-23નું વાર્ષિક બજેટ અમદાવાદ મેયર રજૂ કરશે. હાલ MJ લાયબ્રેરીનું 15.33 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયુ હતું. VS હોસ્પિટલ માટે રૂ 173 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ હતુ. કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના સંતાનો માટે ફ્રી બસ પાસની જાહેરાત કરવામાં આવી હતી.
સુરતનું આયોજન
સુરત મનપાનું વર્ષ 2022-23નું 6970 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. વર્ષ 2022-23માં કરવેરામાં કોઈ વધારો નહીં કરવામાં આવે. રિવરફ્રન્ટ માટે 239 કરોડ, બરેજ માટે 30 કરોડની ફાળવણી કરાઈ છે.
વડોદરાનો વ્યૂહ
વડોદરા કોર્પોરેશનનુ આજે વર્ષ 2022-23નુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ હતુ. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ 2022-23ના ડ્રાફ્ટ બજેટ સાથે વર્ષ 2021-22નુ રિવાઈઝડ બજેટ પણ રજૂ કરવામાં આવ્યુ છે. વડોદરા કોર્પોરેશન દ્વારા 3833.49 કરોડનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે.