અમદાવાદમાં VTV સાથેની ખાસ વાતચીતમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે અને AAPનું ખાતું પણ નહીં ખુલે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષો મતદોરોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારકો રાજ્યના વિવિધ વિસ્તારોમાં સભા અને રોડ શૉ યોજી રહ્યા છે. ત્યારે અમદાવાદના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ખાતું નહીં ખુલે, ભાજપ ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે.
ગુજરાત અને ભાજપનો અતૂટ સંબંધ: ઠાકુર
આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા કેન્દ્રીય મત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે, 'ઉત્તર પ્રદેશની 400 સીટો પર નોટા કરતા પણ ઓછા મતો મળ્યા છે, ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીનું ખાતુ પણ ન ખુલી શક્યું અને મારા હિમાચલમાં તો AAPની દુકાન 4 મહિના પહેલા જ બંધ થઈ ગઈ હતી. ગુજરાતના લોકો ઘણા સમજદાર છે, તેઓ ભારતીય જનતા પાર્ટીની સાથે જ જશે. ગુજરાત અને ભાજપનો અતૂટ સંબંધ છે.'
અનુરાગ ઠાકુરે પૂછ્યું- ગુજરાતની જનતાને પંજાબનું મોડલ જોઈએ છે?
તેઓએ જણાવ્યું કે, પંજાબમાં શું ચાલી રહ્યું છે તે દરેક જાણે છે. પંજાબમાં ત્રણ મહિનામાં 70 લોકોની હત્યા થઈ ચૂકી છે. ગેંગવોર ચાલી રહ્યો છે, નશાનો વેપલો ચાલી રહ્યો છે, દુકાનદારો પાસેથી વસુલી કરવામાં આવી રહી છે, આતંકવાદી સમર્થકો સાથે સહયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની જનતાને શું આવું મોડલ જોઈએ છે? અમે તો અહીંયા આવા આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવા માટે કાયદો બનાવી રહ્યા છીએ.
ગુજરાતમાં AAPનું નહીં ખુલે ખાતુંઃ અનુરાગસિંહ ઠાકુર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, જ્યારે રમખાણો બંધ થયા ત્યારે ગુજરાત રાજ્યનો વિકાસ થયો અને ભારતીય જનતા પાર્ટીના આ સુશાસનના કારણે જનતાએ પોતાને સુરક્ષિત અનુભવી અને વેપારીઓએ રોકાણ કર્યું. વધુમાં તેઓએ જણાવ્યું કે, અમે ઈતિહાસ બનાવીશું, આજસુધીની સૌથી મોટી જીત ભારતીય જનતા પાર્ટી નોંધાવશે. ગુજરાતમાં AAP ખાતું પણ નહીં ખુલે.