માણસનું શરીર શક્તિઓથી ભરપૂર હોય છે. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ શક્તિ સમાયેલી હોય છે પછી તે કોઈ પણ સ્વરુપમાં કેમ ન હોય. કેટલાકની શક્તિઓ વાસ્તવિક જીવનમાં પરીણમે છે તો કેટલાક અંદરને અંદરએ શક્તિઓને વલોવ્યા કરતા હોય છે પણ બધી વાત તક પર આધારિત છે. ઘણા લોકો ગોખણીયા જ્ઞાનમાં બહુ આગળ હોય છે. તો કેટલાક છેલ્લી બેંચે બેસવા વાળા. એમનો ચહેરો યાદ કરીને પણ સ્મિત રેલાય. એમના નખરા યાદ આવે. એવા લોકો જાણે જીવનમાં ગંભીર જ ન હોય.
તમને ખબર છે? છેલ્લી બેંચ પર બેસવાવાળા લોકો પણ જીવનનો એક પડાવ પાર કરીને ગંભીર થાય છે. અને છેલ્લી બેંચીયા જ્યારે ગંભીર થાયને એટલે એ ગંભીરતા સફળતામાં પરિણમે છે. એવું હું મારા અનુભવોને આધારે વ્યક્તિગત માનું છું અને સમાજમાં અનેક દાખલા પણ છે. મારી ભાષામાં આવા લોકોને હું 'કલાકાર' કહું છું.
નાના હતા એટલે સ્કૂલમાં (અહીં સરકારી શાળાઓની વાત છે) વૃક્ષા રોપણ કરવાનું હોય ગ્રાઉન્ડ ઉપર વિવિધ રમતો માટે પાટા દોરવાના હોય કોઈ ઓરડામાં સાફ સફાઈ કરવાની હોય કે કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામની તૈયારી.. માસ્તર આવે અને છેલ્લી બેંચ સામે તીરછી નજર નાખે પછી બુમ પાડે "અલ્યા ઓય ઉભા થાવ..બહાર આવો કામ છે.." અમે બહુ હરખાતા. માસ્તરને પણ એક ક્ષણ માટે વિચાર આવતો હશે કે જીવનમાં આ લોકો જ કંઈક કરી શકતા હશે. નહી તો દર વખતે માસ્તરજીને છેલ્લી બેંચવાળાની જ જરુર કેમ પડતી હશે? એ સવાલ હજીય સતાવે છે. ખૈર આવા છેલ્લી બેંચીયા દોસ્તારોને હું 'કલાકાર' માનું છું.
અમે 3-4 કલાકારો હતા. બધા સફળ છીએ. એ માસ્તર જે બૂમ પાડતા એમના પ્રત્યે આજે પણ આદરભાવ છે. માણસ ગમે તે ઢાંચામા ફીટ થઈ જવો જોઈએ. ટૂંકમાં માણસ 'કલાકાર' હોવો જોઈએ.