સમભાવ દૈનિક યાદ હાથમાં આવે એટલે ભૂપતભાઇ વડોદરિયા અચૂક યાદ આવે.પિતા છોટાલાલ અને માતા ચતુરાબેનને ત્યા પુત્રરત્નનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૨૯ના રોજ ધ્રાંગધ્રા ખાતે થયો.
૧૯૪૬માં વિજ્ઞાન વિષય સાથે સ્નાતકની પદવી મેળવી પત્રકારત્વ તરફ આકર્ષાયા અને ‘લોકશક્તિ’ અખબાર માટે કામ કર્યું.માત્ર 3 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવેલા ભૂપતભાઇએ 26 વર્ષની યુવાન વયે સૌરાષ્ટ્રની ઓળખ સમા ફૂલછાબ દૈનિકના સંપાદક તરીકે કામગીરી બજાવી.પત્રકારત્વની કેડી ધીમે-ધીમે મારગ બનતી જતી હતી.
1962માં અમદાવાદ મુકામ પોસ્ટ બનતા સ્થાનિક અખબાર "લોકમાન્ય"ના સંપાદક તરીકે ત્યારબાદ જાણીતા દૈનિક સંદેશના સમાચાર સંપાદક તરીકે તથા ગુજરાત સમાચારના સબ એડિટર તરીકે નોંધનીય કામગીરી બજાવીને ગુજરાત સરકારના મહત્વના વિભાગ માહિતી ખાતામાં નિયામક તરીકે ફરજ બજાવી.માહિતી ખાતામાંથી ફરજમુકત થઇ 1986માં સમભાવ ગ્રુપની શરૂઆત કરી જે આજે વટવૃક્ષ બન્યું છે.
પત્રકારત્વની સાથે ભૂપતભાઇ ક્યારેક ઉર્દુમાં પણ લખવાનો શોખ ધરાવતા હતા.તેમણે લખેલ શેર આજે પણ મિત્ર વર્તુળ અને પરિવારજનોને સતત ભૂપતભાઇ હોવાની અનુભૂતિ સતત અને સહજ રીતે કરાવે છે.તેમણે શરૂ કરેલ સમભાવ દૈનિકે પત્રકારત્વની લાંબી મજલ કાપતા અનેક ચઢાવ-ઉતાર જોયા છે અને આજે માત્ર સમભાવ દૈનિક જ નહીં પરંતુ અનેક સાહસો આ ગ્રુપ દ્વારા કાર્યરત છે.
"દાદા"ના હુલામણા નામે જાણીતા બનેલ ભૂપતભાઇ વડોદરિયાએ પોતાના જીવકાળ દરમ્યાન 50 જેટલા પુસ્તકો સમાજને આપ્યા છે જે આજે પણ સમાજને નવો રાહ ચીંધે છે.પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે એક વારસા સમાન તેમના પુસ્તકો રહ્યા છે.તેમની નવલકથા "પ્રેમ એક પૂજા"ને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર પણ મળ્યો છે.
4 ઓક્ટોબર 2011 ના રોજ તેમનું દેહાવસાન થતા ગુજરાતી પત્રકારત્વનો એક યુગ આથમી ગયો પરંતુ આજે પણ તેમના વિચારો અને તેમના શબ્દો લોક ચાહના ધરાવે છે.આજે તેમના જન્મદિવસે શબ્દાંજલિ.....
કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.)