ભાવનગર યાદ આવે એટલે ત્યાના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી અચૂક યાદ આવે. આજે તેમનો નિર્વાણ દિવસ છે. ભાવનગરના ઠાકોર સાહેબનું નામ રજવાડી ગુજરાતમાં આજે પણ આદરપૂર્વક રીતે લેવામાં આવે છે.
- કવન આચાર્ય
ભાવનગર યાદ આવે એટલે ત્યાના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી અચૂક યાદ આવે. આજે તેમનો નિર્વાણ દિવસ છે. ભાવનગરના ઠાકોર સાહેબનું નામ રજવાડી ગુજરાતમાં આજે પણ આદરપાત્ર રીતે લેવામાં આવે છે. ગોહિલ વંશના ભાવસિંહના આ જ્યેષ્ઠ પુત્રનો જન્મ જન્મ 19 મે, 1912 ના રોજ ભાવનગર ખાતે થયો હતો. કૃષ્ણકુમારસિંહજીએ તેમના પિતાનાં નિધન બાદ 1919 માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર માત્ર 7 વર્ષની હતી.
સમય પસાર થતો રહ્યો અને બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે યુવરાજ કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ, આ મુલાકાતથી તેઓ ઘણા પ્રભાવિત થયા. તે સમયના ભાવનગર સ્ટેટના દિવાન પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો.
ઈ.સ. 1931માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં સ્વતંત્રરૂપે રાજ્ય ઘૂરા સંભાળી લીધી. તે જ વરસે ગોંડલના યુવરાજ ભોજરાજનાં પુત્રી વિજયાબા સાથે તેમનાં લગ્ન લેવાણાં. ઈ.સ. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજિરાજસિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પૌત્રી વિજયાબાકુંવરબા સાથે થયા. આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા.
સમય પસાર થતો રહ્યો અને મહારાજાના કાર્યોની સુવાસ વધતી ગઇ. એક વખત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પોતાના પેલેસના બગીચામાં ફરી રહ્યા હતા. ત્યાં અચાનક તેમના કપાળમાં પથરો વાગ્યો. સૈનિકો દોડ્યા અને પથરો ફેંકનારને પકડી લાવ્યા. તે નાનકડો છોકરો હતો.
મહારાજાએ પૂછ્યું કે ભાઇ કેમ પથરો ફેંકેલો? જવાબમાં બાળકે કહ્યું, ‘કેરી પાડવા’ તો મહારાજાએ હુકમ કર્યો કે આ બાળકને જોઇએ તેટલી કેરી આપો અને પછી પોતાના સાથીઓને જણાવેલું કે જો આંબો પથ્થરના ઘા ખમીને પણ કેરી આપતો હોય તો હું તો રાજા છું મારે પણ પથ્થરો ખાઇને કેરી જ આપવી જોઇએ અને જો આંબો એક પથરાથી એક કેરી આપે તો મારે તો વધારે આપવી પડે. આવી હતી મહારાજાની સહજતા.
મિત્રો એક બીજો પ્રસંગ યાદ આવે છે, ભારત આઝાદ થયું હતું અને રજવાડાઓનું વિલિનીકરણ કરવાની યોજના બની હતી અને સરદાર પટેલ જયારે સહી માટે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ પાસે આવે છે ત્યાંરે મહારાજા સરદારને કહે છે કે "વલ્લભભાઈ આ ભાવનગર રાજ્ય અને સંમ્પતિ હુ પ્રજાના કલ્યાણ માટે ભારત સરકાર ને સોંપુ છુ એમ કહીને તેમણે 1700 પાદર ભારત સરકારને સોપ્યા. સમય જતાં તેમને મદ્રાસ રાજ્યના ગવર્નર બનાવવામાં આવ્યા તેમછતાં ગામની પ્રજા તો હજી તેમને જ મહારાજા માનતી હતી. ઘટના જાણે એમ બની કે, એક ખેડૂતના બે બળદ ચોરાઇ ગયા. ખેડૂતને હજુ એમ જ હતું કે રાજ તો કૃષ્ણકુમારનું જ છે. એટલે એ ખેડૂત ફરિયાદ કરવા ભાવનગર નીલમબાગ પેલેસમાં આવ્યો. ત્યાં તેને જાણવા મળ્યું કે કૃષ્ણકુમારસિંહજી તો મદ્રાસ રાજના ગવર્નર છે અંતે આશા સાથે તે અભણ ખેડૂ મદ્રાસ પહોંચ્યો અને કૃષ્ણકુમારસિંહને પોતાની વ્યથા સંભળવીને કહ્યું રાજા, આ બળદના ચોર સામે તમે પગલા લો. અંતે કૃષ્ણકુમારસિંહજીએ તેને કહ્યું કે, હું હવે ભાવનગરનો ધણી નથી રહ્યો હું મદ્રાસનો ગવર્નર છું પરંતુ તારી આ રાજવી પ્રત્યેની ભાવના છે તે જાણીને હું ગદગદ થયો છું લે આ 5 હજાર રૂપિયા તું નવા બળદ ખરીદી લે જે.
આ પ્રજાલક્ષી રાજવી 2 એપ્રિલ, 1965ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા. તેમના અવસાનના સમાચાર વાયુવેગે ભાવનગરમાં પ્રસરી ગયા અને આ મહારાજાના માનમાં આખુય ભાવનગર સ્વયંભૂ, જડબેસલાક બંધ હતું. લોકોએ ઘરે ચૂલા નહોતા સળગાવ્યા અને આખુંય ભાવનગર શેરીઓમાં ઉમટી પડેલું. મિત્રો, ભારત વર્ષમાં આવા અનેક રાજવીઓ થઇ ગયા જેમને તેમની પ્રજા આજે પણ યાદ કરે છે. ક્યારેક ભાવનગર જવાનું થાય તો નિલમ બાગ પેલેસની મુલાકાતે જરૂર જાજો અને તેની દિવાલ પર કાન માંડશો તો આજે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની યશોગાથા અચૂક સાંભળવા મળશે.
કવન આચાર્ય, VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે. માહિતી મદદ: વિકીપીડીયા )