ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા મામલે શિક્ષાત્મક બદલી કરી મહિલા PSI ને લિવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યા છે.
ખેરગામમાં ધારાસભ્ય પર થયેલા હુમલો મામલો
કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલા મહિલા PSI ની થઈ બદલી
જિલ્લા પોલીસ વડાએ ખેરગામનાં PSI ની કરી બદલી
નવસારીના ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર તાજેતરમાં હુમલાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનાને લઇને ધારાસભ્ય અનંત પટેલના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલા મહિલા PSIની બદલી કરી દેવામાં આવી છે. જિલ્લા પોલીસવડાએ ખેરગામના PSI એસ.એસ.માલની બદલીનો ઓર્ડર કર્યો છે. એટલું જ નહિ શિક્ષાત્મક બદલી કરી મહિલા PSIને લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે ટાઉન PSI જે.વી.ચાવડાને ખેરગામમાં મુકાયા છે.
મુમુતાઝ પટેલે અનંત પટેલ ઉપર થયેલા હુમલાને દુઃખદ ગણાવ્યો
ગત શનિવારની રાત્રીએ ધારાસભ્ય અનંત પટેલ ઉપર ખેરગામ બજારમાં હુમલો થયા બાદ તેના પ્રત્યાઘાતો હજુ પણ શાંત પડ્યા નથી. હાલ ધારાસભ્ય અનંતભાઈ પટેલ વાંસદા શિવમ હોસ્પિટલમાં ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે અને આરોપીઓની ધરપકડ ન થતાં આદિવાસી સમાજ રસ્તા પર ઊતરી પડ્યો છે. તો બીજી તરફ તેમને મળવા કોંગ્રેસના નેતા અને આગેવાનો વાંસદા પહોંચી રહ્યા છે. આજે કોંગ્રેસના દિગજ્જ નેતા સ્વ. અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે વાંસદા ખાતે હોસ્પિટલ પહોંચીને અનંત પટેલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમના સ્વાસ્થ્યની શુભકામના વ્યક્ત કરી હતી. મુમુતાઝ પટેલે અનંત પટેલ ઉપર થયેલા હુમલાને દુઃખદ ગણાવ્યો હતો.
આદિવાસી સમાજે નેશનલ હાઇવે નંબર 56 પર કર્યો ચક્કાજામ
હુમલા બાદ નવસારી જિલ્લા પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવા માટે 72 કલાકની સમય મર્યાદા માંગી હતી. જે આજે પૂર્ણ થઈ ગઈ હતી છતાં હજુ સુધી આરોપી ઝડપાયા નથી આથી રોષે ભરાયેલા આદિવાસી સમાજે વાપી-શામળાજી નેશનલ હાઇવે નંબર 56 ઉપર બેસી જઈને ચક્કાજામ કર્યો હતો. પ્રકૃતિપુજક આદિવાસી સમાજે હાઇવે પર પ્રકૃતિની પૂજા અર્ચના પણ કરી હતી. જેના કારણે મહારાષ્ટ્રથી ડાંગ થઈ આવતા વાહનો અને વલસાડથી ધરમપુર થઈ નવસારી અથવા શામળાજી જતા વાહનોની લાગી લાંબી લાઈનો લાગી હતી. આદિવાસીઓએ પોલીસ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીર સામે રોષ ઠાલવી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
જિલ્લા કલેકટરને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું
આ સમગ્ર હુમલાની નોંધ રાહુલ ગાંધીએ લઈને સમગ્ર ઘટનાક્રમ ટ્વિટ કર્યા બાદ મામલો શાંત પડવાનના બદલે વધારે ગરમાઈ ગયો છે. કોંગ્રેસના MLA અનંત પટેલ પર હુમલાનો મામલે સુરત શહેર કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું અને જવાબદારોની ધરપકડ કરી તેમની સામે કડક પગલા લેવા માંગ કરાઈ હતી. તો આ તરફ બાયડના ધારાસભ્ય જશુ પટેલ પણ વાંસદા દોડી ગયા હતા અને હુમલાની નિંદા કરી કરી હતી.