ઉત્તરપ્રદેશમાં લખનૌ ખાતે સપા અને બસપાના મહાગઠબંધન પર આજે અખિલેશ યાદવ અને માયાવતીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 23 વર્ષ બાદ ફરી એક વખત સપા અને બસપા એકસાથે જોડાઈને ગઠબંધન કર્યુ છે. માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરતાં કહ્યું હતું કે ગુરુ-ચેલાની ઊંઘ હરામ કરવા આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની હવે ઊંઘ ઉડી જશે તેમ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પહેલાં પણ આ ગઠબંધન થયું હતું પરંતુ લાંબો સમય સુધી ચાલી શક્યું ન હતું. પરંતુ હવે ફરી વખત દેશના જનહિત માટે ગઠબંધન કરવાનું વિચાર્યુ છે.
સીટ ફાળવણી મુદ્દે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરાઈ હતી જેમાં સપા અને બસપા બંને 38-38 એમ સરખી બેઠકો પરથી આગામી લોકસભા ચૂંટણી લડશે. જેમાં કોંગ્રેસ માટે અમેઠી અને રાયબરેલીની એમ 2 સીટો છોડી દેવાઈ હતી. આ સીટ પર સપા-બસપા તેમના ઉમેદવારો નહીં ઉતારે. જ્યારે સહયોગી પાર્ટી માટે પણ અન્ય 2 સીટો છોડવામાં આવી હતી.
માયાવતીએ પોતાનું સંબોધન કરીને બસપાની સિદ્ધિઓ ગણાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બસપાએ બાબાસાહેબ આંબેડકરના અધૂરાં સપના પૂરાં કર્યા. માયાવતીએ આગળ કહ્યું કે 2019માં ક્રાંતિ આવશે અને દેશમાં જનહિતને ધ્યાનમાં રાખીને યુપીમાં એકજૂટતા રાખવી જરૂરી છે. ભાજપની તાનાશાહી નીતિથી દેશની જનતા પરેશાન થઈ ગઈ છે અને ભાજપ જાતિવાદ પક્ષ છે.
માયાવતીએ આગળ કહ્યું હતું કે અમારો મુખ્ય હેતુ ભાજપને સત્તામાં આવતો રોકવાનો છે. અમે કોઈ પણ રીતે ભાજપ ઍન્ડ કંપનીને સત્તામાં નહીં આવવા દઈએ. બૉફોર્સથી કોંગ્રેસની સરકાર ગઈ અને રાફેલથી ભાજપની સરકાર જશે. માયાવતીએ કહ્યું કે કૉંગ્રેસ સાથે ગઠબંધન કરવાથી SP-BSPને કોઈ લાભ નહીં થાય જેથી કૉંગ્રેસને ગઠબંધનમાં શામેલ નહીં કરાય.
ત્યારે આ બાજુ અખિલેશ યાદવે પણ ભાજપ પર પ્રહારો કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. અખિલેશે કહ્યું હતું કે રામની ભૂમિ પર ભાજપ અત્યાચાર કરી રહ્યું છે. લોકોને સહાય કરતા પહેલાં ભાજપ જાતિ પૂછે છે. દેશના યુવાનોને ખોટાં વચનો આપવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે ભાજપે જનતામાં ઝેર ફેલાવવાનું કામ કર્યુ છે. દેશમાં ખેડૂતો-યુવાઓની હાલત કફોડી છે. ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે.
ઉલ્લેખનીય છે કે સપા અને બસપાએ આ ગઠબંધન કોંગ્રેસને બહાર રાખીને કર્યુ છે ત્યારે યુપીમાં ભાજપની સાથે સાથે હવે કોંગ્રેસની પણ ચિંતામાં વધારો થશે.
જ્યારે બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં સીટોની વહેચણીને લઈને RLDમાં નારજગી છે. ત્યારે સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ RLD આ પ્રેસ કોન્ફરન્સથી દૂર રહશે. RLDના અધ્યક્ષ અજીત સિંહ પણ નારજ છે. તેમની નારાજગી સીટોની વહેચણીને લઈને છે. પ્રાપ્ત વિગતો મુજબ RLDને ત્રણ સીટો ફાળવવાનો પ્રસ્તાવ છે. જ્યારે છ સીટો પર ચૂંટણી લડવાની RLDની માગ છે. જો કે આજે સપા અને બસપાના મહાગઠબંધનનું એલાન થઈ ગયું હતું. સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપાના અધ્યક્ષ માયવતી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. આ મહાગઠબંધનમાં રાષ્ટ્રીય લોકદળ નિષાદ પાર્ટી પીસ પાર્ટી સહિત અનેક નાના પક્ષ હાજર રહેશે.