છેલ્લા થોડા દિવસોથી સપા-બસપા ગઠબંધન તૂટવાની ચાલી રહેલી અટકળો હવે દૂર થઇ ગઇ છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ગઠબંધનથી અલગ થઇને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બસપા સુપ્રીમો માયવતીએ પણ સપાથી અલગ લઇને ચૂંટણી લડવાની વાત જણાવી હતી.
સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને આઝમગઢના સાંસદ અખિલેશ યાદવે જણાવ્યું છે કે 2022માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે. આ સાથે ઉત્તર પ્રદેશમાં યોજનારા પેટા ચૂંટણી પણ એકલા હાથે લડવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધન તૂટવાની કગાર પર પહોંચી ગયું હતું. આજરોજ માયાવતીએ યોજેલી પત્રકાર પરિષદ જણાવ્યું કે સમાજવાદી પાર્ટીના મતો તેમની સાથે રહ્યાં નહી.
બસપા પ્રમુખ માયાવતીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે બસપા વિધાનસભા પેટાચૂંટણી એકલા હાથે પણ લડી શકે છે. આ સાથે માયાવતીએ ગઠબંધનને યથાવત રાખવા અખિલેશ યાદવ સામે શરત પણ રાખી છે. માયાવતીએ કહ્યું કે અખિલેશ અને ડિમ્પલ સાથે સંબંધ પુરા ન થાય તે માટે મે હંમેશા પ્રયત્ન કર્યા છે. માયાવતીએ જણાવ્યું કે મહાગઠબંધનને યાદવ મત મળ્યા નહીં.
ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં ચૂંટણી પરિણામની સમીક્ષા બેઠકમાં બસપા પ્રમુખ માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે ગઠબંધનના કારણે તેમની પાર્ટીને જે ફાયદો થવાની આશા હતી તે પુરી થઇ નથી. જેના કારણે આગામી સમયમાં આ અંગે સમીક્ષા કરાશે. આ સાથે જ માયાવતીએ ઉત્તર પ્રદેશમાં ખાલી પડી રહેલી 11 વિધાનસભાની બેઠક પર યોજાનાર પેટા ચૂંટણીમાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ આઝમગઢમાં પત્રકારો દ્વારા પુછવામાં આવતાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે હવે અમે અમારી તાકાત પર ચૂંટણી લડીશું.