કન્નડ ફિલ્મોના અભિનેતા ચિરંજીવી સરજાનું રવિવારે બેંગલુરુમાં કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું હતું. તેના મૃત્યુ પછી, અભિનેતાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ઘરે લાવવામાં આવી હતા. ચિરંજીવી સરજાના અંતિમ સંસ્કાર તેના બેંગલુરુ સ્થિત ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ હાજર રહ્યા હતા.
ચિરંજીવી સરજાના અચાનક નિધન બાદ સમગ્ર દક્ષિણ ફિલ્મ જગત શોકમાં ગરકાવ થઈ ગયું હતું. અભિનેતાના મૃત્યુના સમાચાર સાંભળતાં જ ફિલ્મ સેલિબ્રિટીઝ અને ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે અંતિમ સંસ્કાર દરમિયાન ચાહકોના ટોળાને કારણે પોલીસ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પણ હાજર હતી.
ચિરંજીવી સરજાના અવસાનથી તેની પત્ની મેઘના રાજને મોટો આઘાત લાગ્યો છે. લાંબા સંબંધ પછી મેઘના રાજ અને ચિરંજીવી સરજાના લગ્ન 2 મે 2018 ના રોજ થયા હતા. મેઘના રાજ હાલ ગર્ભવતી છે અને આવા સમયે ચિરંજીવી સરજાનું અવસાન થતાં આભ તૂટી પડ્યું છે.
ચિરંજીવી સરજાએ 2009 માં આવેલી ફિલ્મ વાયુપુત્રથી અભિનયની શરૂઆત કરી હતી. તેણે 20 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે સાઉથના ફિલ્મ સ્ટાર અર્જુન સરજાના ભત્રીજા અને એક્શન એક્ટર રાજકુમાર ધ્રુવ સરજાના ભાઈ છે.