ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી ૨-૧થી જીત્યા બાદ હવે નવા પડકાર માટે તૈયાર છે.
ભારત અને દ.આફ્રિકા વચ્ચે ચાર મહિનામાં બીજી ટી-20
દક્ષિણ આફ્રિકા સામેની 20માંથી 11 મેચ ભારત જીત્યું
ભારત ઘરઆંગણે દક્ષિણ આફ્રિકાને ક્યારેય ટી-૨૦ શ્રેણી હરાવી શક્યું નથી
આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં ટી-૨૦ વર્લ્ડકપ રમાશે
આજે અહીંના ૫૫,૦૦૦ દર્શકોની ક્ષમતાવાળા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીનો પ્રથમ મુકાબલો રમશે. આ ઉપરાંત ત્રણ વન ડે મેચ પણ દક્ષિણ આફ્રિકા સામે રમાવાની છે, પરંતુ બધાંની નજર ટી-૨૦ શ્રેણી પર રહેશે. આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં ટી-૨૦ વર્લ્ડકપ રમાવાનો છે, જેની તૈયારીઓને અંતિમ રૂપ આપવા માટે ભારત પાસે આ અંતિમ ટી-૨૦ શ્રેણી છે.
ભારત અને દ.આફ્રિકા વચ્ચે ચાર મહિનામાં બીજી ટી-20, ગત સિરિઝ હતી ડ્રો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મહિનામાં આ બીજી ટી-૨૦ શ્રેણી રમાવાની છે. આ વર્ષે જૂનમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પાંચ મેચ રમવા માટે ભારત આવી હતી ત્યારે શ્રેણી ૨-૨થી ડ્રો રહી હતી. એક મેચમાં પરિણામ આવી શક્યું નહોતું. આ પહેલાં સપ્ટેમ્બર-૨૦૧૯માં પણ ભારતમાં રમાયેલી ત્રણ મેચની શ્રેણી ૧-૧થી ડ્રો રહી હતી.
દક્ષિણ આફ્રિકા સામેની 20માંથી 11 મેચ ભારત જીત્યું
બંને ટીમ વચ્ચેના હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે કુલ ૨૦ મેચ રમાઈ છે, જેમાંથી ભારતે ૧૧માં જીત મેળવી છે અને આઠ મેચમાં હારનો સામનો કર્યો છે. એક મેચનું પરિણામ આવી શક્યું નહોતું.
ભારત પોતાના ઘરમાં દક્ષિણ આફ્રિકાને ક્યારેય ટી-૨૦ શ્રેણી હરાવી શક્યું નથી
દક્ષિણ આફ્રિકાની ટીમ મજબૂત બોલિંગ આક્રમણ સાથે ભારતના પ્રવાસે આવી છે. આ ટીમમાં કગિસો રબાડા, એનરિક નોર્ત્ઝે, લૂંગી એન્ગડિી અને વાયન પાર્નેલ જેવા બોલર છે. ભારતીય બોલર્સની વિશ્વકપ પહેલાં સાચા અર્થમાં અગ્નિપરીક્ષા હશે. આ વાત ત્યારે ખાસ બની જાય છે, જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે ભારત પોતાના ઘરમાં દક્ષિણ આફ્રિકાને ક્યારેય ટી-૨૦ શ્રેણી હરાવી શક્યું નથી. ભારતીય બેટ્સમેનો તો શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે, પરંતુ બોલિંગ હાલના દિવસોમાં માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. ડેથ ઓવર્સની બોલિંગના ટેન્શનમાંથી ભારતીય કેપ્ટન રોહિત શર્મા હજુ બહાર આવી શક્યો નથી.
દક્ષિણ આફ્રિકાના કેટલાક શાનદાર ખેલાડી
દક્ષિણ આફ્રિકાની બેટિંગ લાઇન અપ પર નજર કરવામાં આવે તો ડેવડિ મિલર, વાન દર ડુસેન, ક્વિન્ટન ડી'કોક, હેનરિક ક્લાસેન જેવા કેટલાક શાનદાર ખેલાડી છે, ભારતીય બોલર્સની પરીક્ષા લઈ શકે છે.
આ મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે જીત્યું હતું ભારત
તિરુવનંતપુરમમાં ટીમ ઇન્ડિયાએ પોતાનો પ્રથમ મુકાબલો ૨૦૧૭માં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. આ મેદાન પર અત્યાર સુધી માત્ર એક વન ડે અને બે ટી-૨૦ મેચ રમાઈ છે. ૨૦૧૭માં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં વરસાદ વિલન બનતાં એ મેચ આઠ-આઠ ઓવરની કરી દેવામાં આવી હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં આઠ ઓવરમાં પાંચ વિકેટે ૬૭ રન બનાવ્યા હતા ત્યારે બૂમરાહ અને ભુવીની ઘાતક બોલિંગના દમ પર કિવી ટીમને માત્ર ૬૧ રન પર રોકી દઈને ભારતે એ મુકાબલો છ રનથી જીતી લીધો હતો.
આ મેદાન પર અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ ત્રણ વર્ષ પહેલાં ભારત-વિન્ડીઝ વચ્ચે રમાઈ હતી. એ ટી-૨૦ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં કેરેબિયન ટીમ સામે ૧૭૧ રનનું લક્ષ્ય રાખ્યું હતું. શિવમ દુબેએ ૫૪ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. વિન્ડીઝ ટીમે લેન્ડલ સિમન્સ (અણનમ ૬૭), એવિન લૂઇસ (૪૦), શિમરોન હેટમાયર (૨૩) અને નિકોલસ પૂરન (અણનમ ૩૮)ની ઇનિંગ્સના દમ પર એ મેચ આઠ વિકેટે જીતી લીધી હતી.