સૌરવ ગાંગુલી ઈચ્છે છે કે ભારતીય ટીમનું ધ્યાન એશિયા કપમાં જીત પ્રાપ્ત કરવા પર રહે. ગાંગુલી ટીમને ભારત-પાકિસ્તાન પર ધ્યાન કેન્દ્રીત કરે ત્યાં સુધી જોવા માંગતો નથી.
રોહિત શર્માને સૌરવ ગાંગુલીની સલાહ
ભારતીય ટીમ માત્ર ભારત-પાકિસ્તાન મેચ પર ધ્યાન કેન્દ્રીત ના કરે
ભારતીય ટીમ એશિયા કપમાં વિજેતા બનવા પર નજર રાખે
દાદાએ રોહિત શર્માને આપી સલાહ
એશિયા કપની શરૂઆત 27 ઓગષ્ટથી થઇ રહી છે. એશિયા કપમાં રોહિત શર્મા ભારતીય ટીમની આગેવાની કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એશિયા કપની શરૂઆત પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને સલાહ આપી છે. સૌરવ ગાંગુલીનુ માનવુ છે કે ભારતીય ટીમે પોતાનુ ધ્યાન માત્ર પાકિસ્તાન સામે જીત મેળવવાના બદલે એશિયા કપમાં વિજેતા બનવા પર રાખવુ જોઈએ. સૌરવ ગાંગુલીએ કહ્યું, મારી નજર એશિયા કપ પર છે. આ ટુર્નામેન્ટને માત્ર ભારત-પાકિસ્તાનની મેચના રૂપમાં ના જોઈ શકાય. આશા રાખુ છુ કે અમારી ટીમ પણ આ પ્રકારનુ વિચારતી હશે અને ટીમનુ ધ્યાન એશિયા કપમાં વિજેતા બનવા પર રહેશે.
એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 28 ઓગષ્ટે થશે ટક્કર
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર 28 ઓગષ્ટે થશે. સૌરવ ગાંગુલીએ કહ્યું, તમે આ ટુર્નામેન્ટને ભારત અને પાકિસ્તાન મેચ સુધી મર્યાદિત ના રાખી શકો. જ્યારે હું રમતો હતો ત્યારે હું ભારત અને પાકિસ્તાનની મેચને કોઈ બીજી મેચની જેમ લેતો હતો. મારી નજર હંમેશા ટુર્નામેન્ટ જીતવા પર રહેતી હતી.