ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે રાજ્ય સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. જે અંગે લોકો જણાવી રહ્યા છે કે નિયમો આવકાર્ય પણ કોરોના-ડીજેને શું સંબંધ ?
રાજ્ય સરકારે ઉતરાયણની SOP કરી જાહેર
SOP અંગે મહાનગરોમાં શું છે મત?
DJ વગાડવાની પરવાનગી મળે તેવી માંગ
રાજ્યમાં કોરોના વકરતા સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે હવે ઉત્તરાયણનો પર્વ નજીક આવતા કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકારે ઉત્તરાયણને લઇને કેટલાક નિયમો પણ બનાવ્યા છે. આ વર્ષે ઉત્તરાયણ તો ઉજવી શકાશે પરંતુ કોઇ સગા સબંધી કે મિત્રોને આમંત્રણ નહી આપી શકાય. આ દિવસે પોતાના ઘરના સિવાય બહારના કોઇ પણ લોકોને પ્રવેશ આપવામાં ન આવે તેવી સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે. તો વળી ધાબા પર ડીજે અને મ્યુઝિક સિસ્ટમ પણ નહી વગાડી શકાય. આ નિયમો અંગે મહાનગરોમાં સ્થાનિકોનો શું અભિપ્રાય છે તે જાણવાનો વીટીવી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો આ નિયમો આવકારી રહ્યા છે તો કોઇ કહી રહ્યું છે કે ડીજે વગર તો પતંગ ચગાવવાની મજા ન આવે.
કોરોના અને DJને શું સંબંધ- યુવાનો
વડોદરા વાસીઓ સરકારની આ ગાઇડલાઇનથી ખુશ છે. તેઓ એકબીજાના ઘરે ન જવાના નિર્ણયને આવકારી રહ્યા છે. કોરોના સંક્રમણને ઘટાડવા આ નિયમો બરાબર ગણાવે છે પરંતુ વડોદરાના યુવાનોનો સવાલ છે કે કોરોના અને ડીજે શું સંબંધ. યુવાનોનું કહેવુ છે કે ધાબા પર ડીજે વગાડવા માટે સરકારે પરવાનગી આપવી જોઇએ. મ્યુઝિક મસ્તી સાથે ઉત્તરાયણ ઉજવવાની મજા કંઇક ઓર છે. જેથી આ વર્ષે મ્યુઝિક વગરની ઉત્તરાયણ ફિક્કી લાગશે તેમ વડોદરાવાસીઓ જણાવે છે.
નિયમો થશે બાધારુપ: રાજકોટવાસીઓ
ઉતરાયણને લઈને ગુજરાત સરકારે SOP જાહેર કરી છે તે ચોક્કસથી બાધારુપ નીવડશે તેવુ રાજકોટવાસીઓ જણાવી રહ્યા છે. રાજકોટવાસીઓ પણ માને છે કે સોસાયટીમાં બહારના લોકોને પ્રવેશ આપવામાં ન આવે તે નિયમ ખરેખર લાભદાયી છે પરંતુ ડીજે વગર ઉત્તરાયણની મજા નહી રહે. મ્યુઝિક વગર ઉત્તરાયણની મજા નહી આવે તેમ રાજકોટ વાસીઓએ જણાવ્યુ હતું.
પતંગ બજારોમાં કોરોના ઇફેક્ટ
એક તરફ પતંગ રસિકોમાં ઉત્તરાયણને લઇને થનગનાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પતંગ બજારોમાં કોરોના ઇફેક્ટ પણ જોવા મળી રહી છે. ઉત્તરાયણને 3 દિવસ બાકી છે તેમ છતાં પણ રાજકોટના પતંગ બજાર ખાલી ખાલી જોવા મળી રહ્યુ છે. આ સમયે સદર બજાર ગ્રાહકોથી ભરેલુ હોય ત્યારે અહીં તો માંડ એકલ દોકલ ગ્રાહકો પતંગની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.કોરોનાના ડરને કારણે પતંગ બજાર હજી ગ્રાહકોની રાહ જોઇ રહ્યુ છે.
ઉત્તરાયણને લઇને રાજ્ય સરકારની શું છે ગાઇડલાઇન
કોઇપણ જાહેર સ્થળો / ખુલ્લા મેદાનો / રસ્તાઓ વગેરે પર એકત્રિત થઇ શકાશે નહી તેમજ પતંગ ચગાવી શકાશે નહી.