માલદીવના આલીશાન વોટર વિલાનો આનંદ હવે ભારતમાં પણ લઇ શકાશે. સરકારી થિંક ટેન્ક નીતિ આયોગે પર્યટકો માટે મોંઘુ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ડેવલોપ કરવાની યોજના બનાવી છે. આયોગે આ માટે 1500 કરોડનો વોટર એન્ડ લેન્ડ વિલા પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તેને લક્ષદ્વીપ અને આંદામાન-નિકોબાર આઇલેન્ડની ખાડીમાં બનાવાશે.
નીતિ આયોગની યોજના છે કે ભારતમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે માલદીવ જેવા વોટર વિલા બનાવવામાં આવે
આયોગે આ માટે 1500 કરોડના વોટર અને લેન્ડ વિલા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે
વોટર વિલામાં 125 રૂમ બનાવવાનો પ્રસ્તાવ અપાયો છે
વિલા બનાવવા ઉપરાંત બંને દ્વીપો માટે એરપોર્ટ, સમુદ્રી વિમાન, હેલિકોપ્ટરની બેસ્ટ સુવિધા, ફ્લોટિંગ ડોક જેવા અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ કામ કરવામાં આવશે. એક અધિકારીએ આ સંદર્ભે વાત કરતા જણાવ્યુ કે સાત મોટી યોજનાઓ માટે બોલી લગાવાઇ છે. આ પ્રોજેક્ટ્સને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ ડેવલોપ કરાશે. અમે ભારતને મોટુ ટુરિસ્ટ ડેસ્ટીનેશન બનાવવા ઇચ્છીએ છીએ.
આયોગે લક્ષદ્વીપના મિનિકોય, સુહેલી અને કદમત આઇલેન્ડ પર બનાવવામાં આવેલા વોટર વિલામાં 125 રૂમ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. આંદામાન અને નિકોબારના લોન્ગ, એવ્સ, સ્મિથ અને શહીદ દ્વીપ આઇલેન્ડના લેન્ડ વિલામાં 460 રૂમ બનાવવાની યોજના છે. અધિકારીએ જણાવ્યુ કે મોડલ કન્સેશન એગ્રીમેન્ટને મંજૂરી મળી ચુકી છે. અમે આ વર્ષે જ આ પ્રોજેક્ટ્સ શરૂ થાય તેવી આશા રાખીએ છીએ.
યોજના હેઠળ 50-75 વર્ષના કન્સેશન પીરિયડમાં કરાતા રોકાણ પર 30થી 40 ટકા રિટર્નનું અનુમાન છે. અધિકારીએ જણાવ્યુ કે આયોગે પર્યાવરણ સંબંધિત તમામ એપ્રુવલ મેળવી લીધા છે અને આ વર્ષના અંત સુધીમાં કોન્ટ્રાક્ટ પણ સોંપી દેવાશે
ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વવાળી આઇલેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી યોજનાની પ્રગતિ પર નજર રાખી રહી છે. બીજા ફેઝમાં 17 વધારાના દ્વીપ પર યોજનાનો વિસ્તાર કરાશે. તેમાંથી 12 આંદામાન અને નિકોબાર તેમજ પાંચ લક્ષદ્વીપના આઇલેન્ડ હશે. આ યોજના દ્વારા આયોગ પ્રાઇવેટ સેક્ટરને સારો લાભ અપાવવાની અને સરકાર માટે ઊંચુ મહેસૂલ એકઠુ કરવાની કોશિશ કરી રહ્યું છે. બંને દ્વીપ પર રોજગાર વધારવા અને અહીંના લોકો માટે આવકનો સ્ત્રોત વધારવામાં પણ મદદ મળશે.