કોરોનાકાળમાં સેંકડો લોકોની મદદ કરીને ગરીબો અને પરપ્રાંતિયોનાં મસીહા બની ગયેલા બૉલીવુડ અભિનેતા Sonu Sood હવે રાજકારણમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ પ્રબળ બની ગઈ છે.
સોનું સુદ રાજકારણમાં કરશે પ્રવેશ
પંજાબથી કરશે રાજકીય સફરની શરૂઆત
કોરોનાકાળમાં સેંકડો લોકોની મદદ કરીને ગરીબોના મસીહા બન્યા
કોરોનાકાળમાં સેંકડો લોકોની મદદ કરીને લોકોનો રિયલ હીરો બની ગયેલ અભિનેતા સોનુ સુદ હવે રાજકારણમાં પ્રવેશે તેવી શક્યતા છે.
સ્ક્રીન પર પોતાની આગવી છાપ છોડી ચૂકેલા લોકપ્રિય અભિનેતા સોનુ સૂદ હવે રાજકીય ક્ષેત્રમાં પણ પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે.
આગામી 10 દિવસમાં સોનુ સૂદ પોતાની પાર્ટીની જાહેરાત કરશે. સોનુ સૂદે પોતે રાજકારણમાં આવવાની માહિતી આપી છે.
પંજાબથી શરૂ કરી શકે છે પોતાની રાજકીય સફર
ઘણા સમયથી એક્ટર સોનુ સૂદની રાજકીય સફર શરૂ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આજે સોનુ સૂદનું નિવેદન બહાર આવ્યા બાદ હવે તે લગભગ નિશ્ચિત છે કે તે રાજકીય રણમેદનમાં ઉતરવા માટે તૈયાર છે.
સોનુ સૂદની બહેન માલવિકા અગાઉથી જ પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકી છે.
પીએમ મોદીની રેલીમાં નહીં જાય
ઘણા સમયથી એવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી કે સોનુ સૂદ 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં પીએમ મોદીની રેલીમાં હાજરી આપશે. જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ વાતોમાં કોઈ સત્ય નથી અને તે માત્ર અફવાઓ જ છે. સોનુ સૂદ 4 જાન્યુઆરીએ જરૂરિયાતમંદ છોકરીઓ અને આશા વર્કરોને 1000 સાયકલનું વિતરણ પણ કરશે.
CM ચન્નીને પણ મળ્યા હતા સોનુ
ગયા મહિને પણ સોનુ સૂદે ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરીને બહેન માલવિકાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તે દરમિયાન સોનુ સૂદે પંજાબના વર્તમાન સીએમ ચરણજીત સિંહ ચન્ની સાથે પણ મુલાકાત કરી હતી. એ અગાઉ સોનું સુદ આમ આદમી પાર્ટીનાં એક કેમ્પેઇન માટે અરવિંદ કેજરીવાલ સાથે પણ દેખાયા હતા.
કોરોના કાળમાં ગરીબોની ખૂબ મદદ કરી
કોરોના મહામારી દરમિયાન અસહાય અને ગરીબોની મદદ કરવા બદલ સોનુ સૂદના ખૂબ વખાણ થયા હતા. તેણે સમગ્ર કોરોના સમયગાળા દરમિયાન લોકોને મદદ કરી. લોકડાઉનમાં, તેણે પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે લઈ જવાનું સારું કામ કર્યું હતું. સેંકડો લોકો તેની મદદથી પોતપોતાનાં વતન પહોંચી શક્યા હતા.