કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે પાર્ટી બે જુથમાં વિભાજિત થઈ ગઈ છે. જેમાં એક વર્ગ ફરીથી કોંગ્રેસ પ્રમુખની ખુરશી ગાંધી પરિવારની પાસે જ રહે તેની તરફેણમાં છે, જ્યારે એક જુથ કહી રહ્યું છે કે આગામી અધ્યક્ષ ગાંધી પરિવારના બહારથી હોવો જોઈએ. જો કે માહિતી મળી છે કે હાલના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી હવે અધ્યક્ષ પદ છોડવા જઇ રહ્યા છે, ત્યારે ફરી કોંગ્રેસ માટે એક નવી ચેલેન્જ ઊભી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.
સોનિયા ગાંધી છોડશે કોંગ્રેસનું પ્રમુખ પદ
નવા પ્રમુખની પસંદગી માટે શરૂ કરવી પડશે પ્રક્રિયા
ઘણા સમયથી થઈ રહી છે પૂર્ણ પ્રમુખની માંગણી
સોનિયા ગાંધી કોંગ્રેસના વચગાળાના પ્રમુખ પદનો હોદ્દો છોડશે. કોંગ્રેસમાં લાંબા સમયથી પૂર્ણ-સમયના પ્રમુખ લાવવાની માંગણી કરવામાં આવી રહી છે. સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું હતું કે સોનિયા ગાંધીએ તેમના સાથીઓને કહ્યું છે કે તેઓ એક વર્ષ માટે વચગાળાના પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે અને તેઓ પાર્ટી અધ્યક્ષ પદ છોડવાનું પસંદ કરે છે અને તે માટે હવે પાર્ટીએ પોતાના નવા પ્રમુખની પસંદગી કરવી જોઈએ.
સંગઠનના સ્તરે ફેરફારની છે ડિમાન્ડ
કોંગ્રેસના સંગઠનના સ્તરે ફેરફાર અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. પાર્ટીના ટોચના નેતૃત્વ માટે કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. એક જૂથ પાર્ટીના નેતૃત્વ સહિતના સંગઠનમાં મોટા પાયે પરિવર્તનની માંગ કરી રહ્યું છે, જ્યારે એક જૂથ ગાંધી પરિવારના જ નામની તરફેણ કરતું રહ્યું છે.
પંજાબ સીએમ અમરિન્દરસિંહનો ગાંધી પરિવારને સમર્થન
કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ પછી, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે પણ ગાંધી પરિવારના નેતૃત્વને પડકારવાનો વિરોધ કર્યો છે.
પંજાબના મુખ્ય પ્રધાન અને અમરિંદરસિંહે રવિવારે કહ્યું હતું કે આ પ્રકારના મુદ્દાઓ ઉઠાવવાનો હાલ આ સમય નથી. દેશના બંધારણીય અને લોકશાહી સિદ્ધાંતોનો નાશ કરનાર ભારતીય જનતા પાર્ટી ની આગેવાનીવાળી એનડીએ સરકાર સામે હમણાં એક મજબૂત વિરોધની જરૂર છે.