લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલા ઘોષણા પત્રથી વિવાદ ઉભો થયો છે. પહેલા ભાજપે મેનીફેસ્ટોને લઈને વિવાદ ઉભો કર્યો તો હવે કોંગ્રેસના પરિવારમાંથી જ વિવાદ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, યૂપીએના ચેરપર્સન સોનિયા ગાંધી ઘોષણા પત્રના કવર પેજથી નારાજ થયા છે. કવર પેજ પર પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસનો લોગો પંજાની તસવીરની સાઈઝ ખૂબ જ નાની છે. જેને લઈને સોનિયા ગાંધીએ આપત્તિ વ્યક્ત કરી છે.
પાર્ટીનું માનીએ તો મેનીફેસ્ટોના કવર પેજથી નારાજ સોનિયા ગાંધીએ ઘોષણાપત્ર કમિટિના સભ્ય રાજીવ ગૌડા સાથે પણ વાતચીત કરી અને નારાજગી વ્યક્ત કરી. મંચ પર જતા પહેલા સોનિયા ગાંધીએ રાજીવ ગૌડાને ફિટકાર પણ લગાવી. જેથી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સોનિયા ગાંધીએ ચૂપકીદી સાધી હતી.
જ્યારે પાર્ટીના પ્રવક્તા રણદિપ સુરજેવાલાએ કહ્યું કે, કોઈ સોનિયા ગાંધી કે મનમોહનસિંહને સવાલ કરવા ઈચ્છતા હોય તો કરી શકે છે. ત્યારે સોનિયા ગાંધીએ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. સોનિયા ગાંધીનું કહેવું છે કે ઘોષણા પત્રનું કવર પેજ આકર્ષિત કરનારૂ હોવુ જોઈએ. પરંતુ આવું કંઈ થયુ નથી.
સાથો સાથ રાહુલ ગાંધીની તસવીર પણ મોટી હોવી જોઈએ. રાહુલ ગાંધીની જે નાની તસવીર છાપવામાં આવી છે તે લોકોને પ્રભાવિત કરે તેવી નથી. ઘોષણા પત્રની અંદરની વાતો તો સારી છે, પરંતુ કવર પ્રભાવિત કરે તેવું નથી.