23 મે તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, વિપક્ષી દળોની ગતિવિધિઓ ફાસ્ટ થઇ ગઇ છે. યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પરિણામના દિવસે સાંજે તમામ રાજકીય દળોની બેઠક બોલાવી લીધા છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ અને યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી સક્રિય થઈ ગયાં છે. સોનિયા ગાંધીએ આગામી 23 મેએ વિરોધ પક્ષોના નેતાઓની નવી દિલ્હીમાં બેઠક બોલાવી છે. એમાં હાજર રહેવાનું એમણે ઘણા વિપક્ષી નેતાઓને આમંત્રણ આપ્યું હોવાનો અહેવાલ છે.
23 મે લોકસભા ચૂંટણીની મતગણતરી અને પરિણામ જાહેર કરવાનો દિવસ છે. સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા 19 મેએ પૂરી થશે. સોનિયાએ વિપક્ષી નેતાઓને સંગઠિત કરવાનું આ વ્યૂહાત્મક પગલું ભર્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી છેલ્લા પંદર દિવસોથી ચૂંટણી પરિણામના ગણિતનો હિસાબ કિતાબ લગાવવામાં રહ્યા છે. આટલું જ નહીં, એ સતત તમામ દળોનો મોટા નેતાઓ અને મુખિયા સાથે સંપર્કમાં છે.
23 મેની બેઠકમાં હાજર રહેવાનું જે વિપક્ષી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું મનાય છે તેમા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ સિંહ યાદવને પણ આમંત્રણ અપાશે. સોનિયા વિપક્ષી નેતાઓને ફોન કરીને જાણી રહ્યાં છે કે 19 મેએ લોકસભા ચૂંટણીના આખરી રાઉન્ડ બાદ તેઓ દિલ્હીમાં ઉપલબ્ધ છે કે નહીં.
સોનિયા ગાંધી દ્વારા મીટિંગ માટે આમંત્રિત નેતાઓના નામોની યાદીમાં તેલંગણાના મુખ્ય પ્રધાન અને તેલંગણા રાષ્ટ્ર સમિતિના વડા કે. ચંદ્રશેખર રાવ પણ સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીમાં પરિણામ ત્રિશંકુ આવે એવી સંભાવના હોવાથી સોનિયાએ કથિતપણે કમલનાથ સહિત પાર્ટીનાં અમુક સિનિયર નેતાઓને જવાબદારી સોંપી છે કે તેઓ બિજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયક, વાયએસ. કોંગ્રેસના જગનમોહન રેડ્ડી અને ટીઆરએસના ચંદ્રશેખર રાવને મનાવે. આ નેતાઓ સાથે અનૌપચારિક રીતે વાતચીત શરૂ પણ થઈ ગઈ છે.