કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીને ફરી એક વખત પાર્ટીની ભાગદોડ સોંપી છે. 72 દિવસ બાદ એટલે કે લગભગ અઢી મહિનાના અંતે સોનિયા ગાંધીને ફરી કોંગ્રેસનું અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ભાજપ દ્વારા આક્ષેપો અને કોંગ્રેસ દ્વારા સમર્થન કરવામાં આવી રહ્યું છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે ફરી એકવાર સોનિયા ગાંધીની વરણી કરાઇ છે. ત્યારે કોંગ્રેસ સામે પરિવારવાદના આક્ષેપો થઇ રહ્યા છે. આ મામલે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય શક્તિસિંહ ગોહિલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ગાંધી પરિવાર એકબીજાની જરૂરીયાત છે. કોંગ્રેસના તમામ નેતાઓની ભાવના હતી કે સંગઠનને એક તાંતણે બાંધી રાખવાની તાકાત ગાંધી પરિવારમાં છે અને એટલે જ એ પરિવાર જ જવાબદારી સ્વીકારે. ગાંધી પરિવારથી કોંગ્રેસજનોને કોઈ વાંધો નથી તો શા માટે કોંગ્રેસ ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈની પસંદગી કરે?
સોનિયા ગાંધીના પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ હોબાળો મચાવ્યો હતો. BJPના આઈટી સેલ પ્રમુખ અમિત માલવિયાએ કોંગ્રેસ પર પાર્ટીમાં ચાલી રહેલા વંશવાદને લઈને 7 સેકન્ડનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો.
મહત્વનું છે કે, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં શનિવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. યૂપીએ ચેઅરપર્સન સોનિયા ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મળતી માહિતિ અનુસાર 5 ઝોનના આધારે સોનિયા ગાંધીનું નામ અધ્યક્ષ પદે નક્કી કરાયું છે. નેતાઓના કહેવા પર તેઓએ પોતે સહમતિ દર્શાવી હતી.