દેશ હાલમાં કોરોના વાયરસ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને લોકડાઉનથી ધંધા પર મોટી અસર પડી છે. આ સંકટની વચ્ચે છેલ્લા દસ દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દરરોજ વધારો કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ લખ્યું કે સંકટ સમયે પણ તમારી સરકાર સતત ભાવમાં વધારો કરી રહી છે અને તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. સોનિયાની માંગ છે કે સરકારે તાત્કાલિક વધેલા ભાવ પાછા ખેંચી લે.
સોનિયા ગાંધીએ પીએમ મોદીને લખી ચિઠ્ઠી
પેટ્રોલ- ડીઝલના વધેલા ભાવને પાછા ખેંચવા માંગણી
ક્રુડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો છતાં સરકાર ભાવ વધારી રહી છે
સોનિયા ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે લોકડાઉન દરમિયાન સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં લગભગ 2.6 લાખ કરોડની કમાણી કરી છે. એવા સમયે કે જ્યારે લોકો સંકટમાં હોય, ત્યારે આ રીતે ભાવ વધારો તેમને વધુ મુશ્કેલીમાં મુકી શકે છે. આવી સ્થિતિમાં લોકોનું સંકટ દૂર કરવું સરકારની ફરજ છે.
કોંગ્રેસ અધ્યક્ષે લખ્યું કે મને સમજાઈ નથી રહ્યું કે જ્યારે દેશમાં આટલી બધી નોકરીઓ જઈ રહી છે અને લોકોને જીવન જીવવામાં સમસ્યા આવી રહી છે, તો પછી સરકાર આ રીતે પૈસા કેમ વધારી રહી છે. આજે ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને સરકારે છેલ્લા 6 વર્ષમાં સતત ભાવમાં વધારો કર્યો છે.
સોનિયા ગાંધીએ લખ્યું છે કે સરકારે છેલ્લાં 6 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકા જેટલી એક્સાઈઝ ડ્યુટી વધારી છે. જેનાથી લગભગ 18 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે આ વધેલા ભાવને તાત્કાલિક પાછા ખેંચી લે અને સામાન્ય લોકોને રાહત આપે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દરરોજ વધારો કરવામાં આવી રહ્યો છે. મંગળવારે પેટ્રોલ 47 પૈસા અને ડીઝલ 75 પૈસા વધાર્યું હતું. આ સાથે હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 76.73 પૈસા અને ડીઝલની કિંમત 74.62 પૈસા છે.