દેશભરમાં કોરોનાની મહામારીને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે લોકડાઉન-3ની જાહેરાત બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઘણી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સૌથી મહત્વની પરપ્રાંતિયોને પોતાના વતનમાં મોકલવાને લઇને હતી. જેમાં બીજા રાજ્યમાં કામ કરાવા પહોંચેલા શ્રમિકોને પોતાના વતન પરત મોકલવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી.
શ્રમિકોને ટિકિટ ભાડું આપવાની જાહેરાત બાદ કોંગ્રેસ એકશનમાં
કોંગ્રેસે ફંડ એકઠું કરવાની શરૂઆત કરી
સોનિયા ગાંધીની સૂચના બાદ તમામ પ્રદેશ કમિટીઓ પાસે માંગણી
જેને લઇને રાજ્ય સરકારો દ્વારા પરપ્રાંતિયોને પરત મોકલવામાં આવી રહ્યાં છે. જો કે આ મામલે ફરી રાજકારણ ગરમાયું છે. જેમાં પરપ્રાંતિયોના રેલવે ટિકિટના ખર્ચને લઇને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે પરપ્રાંતિય શ્રમિકોની ટીકીટનો સંપૂર્ણ ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે. જેને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાજ્યના બિન ગુજરાતી શ્રમિકોની રેલવે ટિકિટનો ખર્ચ આપવાને લઇને એકશન મોડમાં આવી ગયું છે.
પ્રદેશ કોંગ્રેસ બિન ગુજરાતી પરિવારોના વહારે આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા શ્રમિકોને રેલવે ટિકિટનો ખર્ચ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી બિનગુજરાતીઓ માટે મદદ શરૂ કરાઇ છે.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું છે કે કોંગ્રેસ દ્વારા બિન ગુજરાતીઓ માટે વતન પરત ફરવા ભાડુ અને ઓનલાઈન ફોર્મ ભરી આપવાની વ્યવસ્થા કરાઇ છે. અમિત ચાવડાએ કહ્યું કે સરકાર બિનગુજરાતીઓ પાસેથી ભાડુ વસુલે તે નિંદનીય છે. મુખ્યમંત્રી 200 કરોડનું પ્લેન લાવે છે અને નમસ્તે ટ્રમ્પ પાછળ 100 કરોડ ખર્ચે છે પરંતુ બિનગુજરાતી પાસેથી ભાડુ વસુલે છે.