કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક ઝાટકે લીધા પાંચ મોટા નેતાઓના રાજીનામાં, ચૂંટણીઓમાં કારમી હાર બાદ લેવાયો નિર્ણય.
કોંગ્રેસમાં સોનિયા ગાંધી આવ્યા એક્શન મોડમાં
એક બાદ એક બેઠકો બાદ આખરે કાર્યવાહી
પાંચ રાજ્યોના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખોના રાજીનામાં લેવાયા
દેશમાં હાલમાં જ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના સમાપ્ત થઈ છે. આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ચાર રાજ્યોમાં ભવ્ય જીત મેળવી જ્યારે એક રાજ્યમાં કોંગ્રેસની સરકારને ઉખાડીને આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતી મળી ગઈ છે. ચૂંટણીઓમાં સૌથી મોટું નુકસાન કોઈ પાર્ટીને થયું હોય તો તે છે કોંગ્રેસ. કોંગ્રેસની પંજાબમાં ભૂંડી હાર થઈ અને સરકાર તો ગઈ જ, સાથે સાથે બીજા રાજ્યોમાં પણ ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું. ઉત્તર પ્રદેશમાં તો મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. એવામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ ચૂંટણી પત્યા પછી આખરે સોનિયા ગાંધી એક્ટિવ થયા હોય તેવું લાગી રહ્યું છે.
"Congress President Sonia Gandhi has asked the PCC Presidents of Uttar Pradesh, Uttarakhand, Punjab, Goa & Manipur to put in their resignations in order to facilitate reorganisation of PCC’s," says party leader Randeep Surjewala.
સોનિયા ગાંધીએ આપ્યા આદેશ
કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીએ પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખોને રાજીનામાં આપી દેવાના આદેશ આપ્યા છે. આ સાથે જ આ રાજ્યોમાં નવું કોંગ્રેસ સંગઠન માળખું પણ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ આદેશ બાદ ઉત્તર પ્રદેશના અજય કુમાર લલ્લુ અને પંજાબના સિદ્ધુનું પણ રાજીનામું પડશે. અજય કુમાર યુપી જ્યારે નવજોત સિંહ સિદ્ધુ પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ છે.
નોંધનીય છે કે આ પહેલા સોનિયા ગાંધીએ પોતે પણ રાજીનામું આપવાની રજૂઆત કરી હતી જોકે કોંગ્રેસના તમામ નેતાઓએ કહ્યું કે સોનિયા ગાંધીએ રાજીનામું આપવાની જરૂર નથી. સોનિયા ગાંધીની સાથે પ્રિયંકા ગાંધીએ પણ મહાસચિવ પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી હતી જોકે બાદમાં ગાંધી પરિવાર રાજીનામું આપશે નહીં તે નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે કપિલ સિબ્બલ અને સંજય દીક્ષિત જેવા નેતાઓ હજુ પણ ખૂલીને કહી રહ્યા છે કે ગાંધી પરિવારે રાજીનામું આપવું જોઈએ.