કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીને ફરી એક વખત પાર્ટીની ભાગદોડ સોંપી છે. 72 દિવસ બાદ એટલે કે લગભગ અઢી મહિનાના અંતે સોનિયા ગાંધીને ફરી કોંગ્રેસનું અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું છે.
જો કે રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણીની હારની જવાબદારી લેતા અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદથી રાહુલ ગાંધીને મનાવવાની કવાયત ચાલી રહી હતી અને નવા અધ્યક્ષની શોધ પણ ચાલુ જ હતી.
આ માટે શનિવારે CWCની બેઠક બોલાવવામાં આવી અને કાર્યસમિતિના 5 ગ્રૂપ બનાવીને દરેક રાજ્યોના નેતાઓના મત લેવામાં આવ્યા. સૌ પહેલાં રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની રજૂઆત કરવામાં આવી અને સાંજની બેઠકમાં નક્કી થયું કે રાહુલ ગાંધી વિના કોંગ્રેસ નહીં ચાલી શકે. માટે તેમને અધ્યક્ષ બની રહેવાની અપીલ કરવામાં આવી. પરંતુ રાહુલ ગાંધીએ અપીલને ફગાવી દીધી. હવે નવા અધ્યક્ષ કોને બનાવવા એ માટેની ચર્ચાએ જોર પકડ્યું.
એક વાત એ પણ હતી કે અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી જ હોય તો યોગ્ય રહેશે. પી. ચિદમ્બરમે સોનિયા ગાંધીનું નામ આપ્યું અને સોનિયાએ ના પાડી. ત્યારે એંટનીએ કહ્યું કે આ ચાલી શકે નહીં. જો રાહુલ ગાંધી અધ્યક્ષ બનવા તૈયાર ન હોય તો સોનિયા ગાંધીએ અધ્યક્ષ બનવું જોઈએ એ વાત પર ચર્ચા થઇ. સાથે જ કમિટીમાં હાજર અંબિકા સોની, આશા કુમારી અને કુમારી શૈલજાએ કહ્યું તે ગાંધી પરિવાર વિના પાર્ટી ચાલી શકશે નહીં. સાથે જ સોનિયા ગાંધીને રાહુલ ગાંધીને મનાવવા માટે કહેવામાં આવ્યું અને સોનિયા ગાંધીએ સ્પષ્ટ કર્યું કે રાહુલના નિર્ણય પર તે કંઈ કહી શકશે નહીં.
આ સમયે નેતાઓએ સોનિયા ગાંધીને પાર્ટી સંભાળવા કહ્યું. મુકુલ વાસનિકનું નામ અધ્યક્ષ પદે નક્કી હતું પણ CWCના સભ્યોએ સોનિયાનું નામ નક્કી કર્યું અને સાથે જ કહ્યું કે રાહુલ ન સમજે તો અન્ય કોઈ અધ્યક્ષ બનશે. આમ થશે તો વિરોધીઓ ગાંધી પરિવારના પપેટ કહેશે. માટે આખરે સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
નેતાઓના કહેવાથી અનેક વિચારવિમર્શ બાદ સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા.