ગત બુધવારે સોનભદ્રમાં નરસંહાર થયા બાદ આજે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે હત્યાકાંડ માટે કોંગ્રેસ અને સપાના નેતાઓને રવિવારે જવાબદાર ઠેરવ્યા. એમણે કહ્યું કે એમને (કોંગ્રેસ અને સપા નેતાઓ) તેની સજા માટે તૈયાર રહેવુ જોઇએ. સીએમ યોગીએ સોનભદ્રમાં નરસંહારના પરિવારજનો સાથે મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં ઉમ્ભા ગામમાં બુધવારે જમીન પર કબજાને લઇને થયેલા ગોળીબારમાં માર્યા ગયેલા પરિવારજનો સાથે મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સમાં પ્રિયંકા ગાંધી પર પરોક્ષ રૂપે હુમલો કરતા કહ્યું કે, તેમની સરકાર આ ઘટનાના મૂળમાં જશે અને 'મગરના આંસૂ' પાડનારાઓનો પર્દાફાશ કરશે. આટલુ જ નહીં યોગી આદિત્યનાથે સપા પર પણ હુમલો કરતા કહ્યું, આ મામલામાં સામે આવ્યું છે કે તેની મૂળમાં કોંગ્રેસના નેતાઓનું પાપ છે. જે લોકોએ આ પાપ કર્યું, તેમની સમાજવાદી પાર્ટી સાથે આર્થિક ભાગીદારી રહી છે. તેમના વિરુદ્ધ સરકારે કડક કાર્યવાહી પણ કરી છે.
યોગીએ એક સવાલ પર કહ્યું કે કોંગ્રેસ અને સપાના નેતા આ પાપ માટે જવાબદાર છે અને તેમની સજા માટે એમણે તૈયાર રહેવું જોઇએ. આપને જણાવીએ કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લગભગ 30 કલાક સુધીમાં મિર્જાપુરના ચૂનાર ગેસ્ટ હાઉસમાં અટકાયતમાં રહ્યા બાદ શનિવારે સોનભદ્ર હત્યાકાંડના પીડિત પરિવારોની મુલાકાત કરી હતી.
બુધવારે સામૂહિક હત્યાકાંડમાં 10 લોકોના માર્યા જવાની ઘટના બાદ પહેલીવાર સોનભદ્ર પહોંચેલા યોગીએ કહ્યું કે આઝાદી બાદ વર્ષ 1955માં કોંગ્રેસની સરકારે સોનભદ્રમાં પાર્ટીના એક વરિષ્ઠ નેતાઓના નામ પર જનજાતિઓના લોકોની ભૂમીને એક પબ્લિક ટ્રસ્ટના નામે કરી દીધી.
વર્ષ 1989માં એ ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોના નામ પર તે જમીન કરી દેવામાં આવી. વર્ષ 2017માં તે જમીન કેટલાક લોકોને વેચીં મારી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેની તપાસ માટે મહેસૂલ વિભાગના પ્રમુખ સચિવની અધ્યક્ષતામાં એક સમિતિ ગઠિત કરવામાં આવી જે 10 દિવસમાં રિપોર્ટ સોંપશે.