21 જૂન દેશે યોગા દિવસની સાથે સાથે ફાધર્સ ડેની ઉજવણી કરી. લોકોએ સોશિયલ મીડિયામાં પોતાના પિતાના ફોટા મુક્યા અને સારા મેસેજ શેર કર્યા. જોકે ફાધર્સ ડેના બીજા દિવસે જ માનવતાને શર્મસાર કરે અને માતા પિતા પ્રત્યે પુત્રની જવાબદારીને લાંછલ લગાવે તેવો કિસ્સો રાજકોટમાં બન્યો.
રાજકોટમાં ફરી એક વાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી
પૌત્રએ દાદા-દાદીને ધક્કો મારી બહાર કાઢી મુક્યા
પૌત્રની કરતૂતના CCTV ફૂટેજ આવ્યા સામે
રાજકોટના મનહરપ્લોટ વિસ્તારમાં એક નિર્દય પૌત્રએ પોતાના દાદા-દાદી પર હિંસક હુમલો કરી દીધો. નરાધમ પૌત્રએ દાદા-દાદીને ધક્કા મારી ઘરની બહાર કાઢી મુક્યા. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો જૂઓ. વીડિયોમાં નરાધમ દાદા-દાદીને ઘરમાંથી ખદેડી રહ્યો છે. દાદાને ધક્કો મારી રહ્યો છે. આ માનવજાતનો દુશ્મન એવો કપૂત દિકરાએ દાદાને ધક્કો માર્યો. દાદા અને પૌત્રની રકઝક રોકવા માટે જ્યારે દાદીએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો તો આ કૃતઘ્ની અને પાપી પૌત્ર તેમને પણ ધક્કો મારીને ફંગોલી દે છે. ધક્કો લાગતા દાદી નીચે પટકાય છે. અમે તેમના બે દાંત પણ તૂટી જાય છે. દાદી પર હુમલો કરનારા આ દુષ્ટ પૌત્રને ઠપકો આપવા માટે દાદા આગળ વધે છે, ત્યારે આ નરાધમ પોતાને WWFનો ચેમ્પિયન સમજતો હોય તેમ વયોવૃદ્ધ દાદા પર પુરી તાકાતથી હુમલો કરે છે અને તેમને ફંગોળી દે છે.
દાદા અને દાદી બન્ને રોડ પર પડ્યા છે છતા આ નિષ્ઠુરના પેટનું પાણી નથી હલતું. તેમને ઉભા કરવાનો પ્રયાસ પણ નથી કરતો. બહારથી દોડીને અન્ય વ્યક્તિ આવે છે જે ઝઘડો શાંત કરવાનો પ્રયાસ કરે છે. નાલાયક પૌત્ર ઘરની અંદર જતો રહે છે અને દરવાજો બંધ કરી દે છે.
દાદા-દાદીએ વારસામાં મળી તે તેમણે પોતાના પુત્રને આપી દીધી
દાદા-દાદીએ આખી જિંદગી મહેનત કરીને જે મિલ્કત એકત્ર કરી હતી અને જે મિલકત તેમને વારસામાં મળી તે તેમણે પોતાના પુત્રને આપી દીધી. દાદા-દાદીએ મકાનનો નાનો હિસ્સો પોતાની પાસે રાખ્યો જેથી તેઓ પોતાની વૃદ્ધાવસ્થામાં અહીં રહી શકે. દાદા-દાદી પ્રોવિઝન સ્ટોર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોકે, હવે ઉંમર થતા તેઓ કામ પણ કરી શકે તેવી સ્થિતિમાં નથી. આવા સમયે નરાધમ સંતાને તેમને આવી રીતે હડધૂત કર્યા છે.
દાદા-દાદીનો આક્ષેપ, 4થી 5 વખત તેમને બેફામ માર પણ માર્યો હતો
દાદા-દાદીનો આક્ષેપ છે કે, તેમની પુત્રવધુ તેમને વારંવાર ત્રાસ આપે છે. અગાઉ પણ 4થી 5 વખત તેમને બેફામ માર પણ માર્યો હતો. નરાધમ પૌત્રની જેમ તેની માતા પણ વારંવાર આ દાદા-દાદીને માર મારે છે. જે ઉંમરમાં વડીલોની આંગળી પકડીને તેમનો સહારો બનવાનું હોય. જે ઉંમરમાં તેમની સેવા કરવાની હોય. તેમને હૂંફ આપવાની હોય તે ઉંમરમાં રસ્તા પર તેમનું હળહળતું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ પરિવારમાં આવી ઘટના વારંવાર બનતી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.
ભારતની સંસ્કૃત્તિ શ્રવણ કુમારવાળી રહી છે. અહીં માતા પિતા માટે પુત્ર જે કરવું પડે તે કરે છે. પગપાળા માતા પિતાને ખંભે ઉઠાવીને યાત્રા કરાવે છે. જ્યારે આજે મિલ્કત પચાવી પાડવા માટે માતા પિતાને હડધૂત કરવામાં આવી રહ્યા છે. આ ઘટાથી રાજકોટવાસીઓમાં પણ દુઃખની લાગણી છે. તેઓ નરાધમો સામે પગલા ભરવાની માગ કરી રહ્યા છે.
પુત્રવધુ અને પૌત્રના ત્રાસનો ભોગ બનનારા દાદીનું કહેવું છે કે, પુત્રવધૂ આવી ત્યારથી ત્રાસ આપી રહી છે. દિકરો કાંઈ નથી કરતો પણ દિકરાની વહુ બધુ કરે છે. દાદા-દાદીને માર મારવાનો મામલો માધ્યમોમાં પ્રસારિત થતા પોલીસ પણ દોડતી થઈ હતી. તાત્કાલિક દાદા-દાદીના પુત્ર અને પુત્ર વધુની અટકાયત કરી હતી. જોકે આટલી કરૂણ ઘટના બન્યા બાદ પણ માવતર કમાવતર ન થાય તેમ પોતાને હડધૂત કરનારા પુત્ર-પુત્રવધુ પ્રત્યે માવતરે કરૂણા વરતાવી અને ફરિયાદ દાખલ ન થવા દીધી.
વડીલોની આ ઉંમરે તેને તરછોડશો તો તે ક્યા જશે? શું તેમણે આ દિવસો જોવા માટે સંતાનોને પોષી અને મોટી કરી હશે? શું આ વડીલોએ કલ્પના પણ કરી હશે કે જે દિકરાઓને લાડ લડાવીને મોટા કર્યા એ જ તેમના આવા હાલ કરશે. આજે આ વડીલ સાથે થયું છે. કાલે બીજા કોઈ સાથે થઈ શકે છે. આ શિક્ષિત સમાજ ક્યા જઈ રહ્યો છે. જે પુત્રવધુ પોતાના સાસુ સસરાની ઉપેક્ષા કરે છે તેણે એ ન ભૂલવું જોઈએ કે તે પોતે જે ઘર છોડીને આવી છે ત્યા પણ તેના મા-બાપ છે. જો આવા જ સમાજનું નિર્માણ કરીશું તો તેમની સાથે પણ આવું થઈ શકે છે.